સુરત-

માલેગાંવથી સુરત જાન લઈને જઈ રહેલી લક્ઝરી બસને વ્યારા-બાજીપરા પાસે અકસ્માત થતાં ત્રણ જાનૈયાઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. આ ઘટના શુક્રવારે વહેલી સવારે બની હતી. 

આ ઘટના બાબતે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માલેગાંવથી સુરત જાન લઈને જઈ રહેલી એક લક્ઝરી બસ જ્યારે વ્યારા-બાજીપરા રોડ પરથી પસાર થતી હતી ત્યારે વહેલી સવારે તે ટેન્કર સાથે અથડાઈ ગઈ હતી. નેશનલ હાઈ-વે નંબર 53 પરના આ અકસ્માતમાં પૂરપાટ જતી લક્ઝરી બસ આગળ જઈ રહેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાતાં ત્રણ જણાનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે અન્ય સાત જણાંને ગંભીર ઈજાઓ થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, જાન સુરતના મીઠીખાડી વિસ્તારમાં લગ્ન માટે જઈ રહી હતી. આ બસમાં 40 જાનૈયાઓ હતા અને તે પૈકી અકસ્માતમાં એક મહિલા અને બે પુરૂષોનાં મોત થયા હતા. બસનો આગળનો હિસ્સો એવી રીતે ભટકાયો હતો કે, તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેના પરથી અકસ્માતની ગંભીરતા સમજી શકાય છે.