અમદાવાદ-

એક તરફ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના જી-૨૩ નેતાઓ કોંગ્રેસથી જ મોઢું ચડાવીને કાશ્મીરમાં જઈને બેઠા છે. ત્યારે હવે આ અંગે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જી-૨૩ નેતાઓ દેશભરના કાર્યકર્તાઓને પક્ષમાં સંગઠન, એકતામાં ભાગીદારી કરવામાં મદદરૂપ થવું જાેઈએ. આ જી-૨૩ નેતાઓએ પાંચ રાજ્યોમાં જઈને તાકાત બતાવવી જાેઈએ.

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી ભરતસિંહ સોલંકીએ જી-૨૩ નેતાઓને ટોણો માર્યો છે કે તાકાત હોય તો આ પાંચ રાજ્યમાં જઈને તાકાત બતાવો. ભરતસિંહે જણાવ્યું કે, જી૨૩ના લીડરને દેશના તમામ કાર્યકર્તાઓ તરફથી મારી પ્રાર્થના છે કે આપ સૌ એક લક્ષ્ય તરીકે દેશની લોકશાહી બચાવવા કામ કરો. જે રીતે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં સૌને સાથે લઈને કામ કરી રહી છે ત્યારે હું અપેક્ષા રાખું છું કે દરેક રાજ્યમાંથી એક જાેરદાર અવાજ એકતા, સંગઠન અને એકતા સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પક્ષ મજબૂત કરવામાં પોતાની ભાગીદારી આપે.

ભારતસિંહ સોંલકીએ જણાવ્યું હતું કે, હું જયારે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળું છું તેઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ કોંગ્રેસનો અવાજ બને તેવી ઈચ્છા વ્યકત કરતા હોય છે. નામ ન આપી પરંતુ આડકતરી રીતે ભાજપ ઉપર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે અંગ્રેજાેની જેમ શોષણ કરવું અને બંધારણને તોડી મરોડી શાસન કરવાની પદ્ધતિને બદલવાની જરૂર છે.