અમદાવાદ-

આઈઆઈએમ અમદાવાદનું સમર ઈન્ટર્નશિપ પ્લેસમેન્ટ પૂર્ણ થઈ ગયુ છે અને આઈઆઈએમએ દ્વારા સંપૂર્ણ પ્લેસમેન્ટની વિગતો જાહેર કરાઈ છે.જે મુજબ આ વર્ષે ૩૮૮ વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ પ્લેસમેન્ટ થયુ છે અને જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓનું કન્સલ્ટિંગ કંપનીઓમાં પ્લેસમેન્ટ થયુ છે.

પીજીપી એમબીએની ૨૦૨૦-૨૦૨૨ની બે વર્ષની બેચના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું ૨૦૨૧ની સમર ઈન્ટર્નશિપ માટે પ્લેસમેન્ટ કરવામા આવ્યુ છે. પ્લેસમેન્ટ પ્રક્રિયા ત્રણ કલસ્ટરમાં પૂર્ણ થઈ છે.આ વર્ષે ૧૩૩ કંપનીઓએ ભાગ લીધો છે અને જુદુ જુદી કુલ ૧૬૬ જગ્યાઓ પ્લસમેન્ટમાં ઓફર થઈ હતી. આ વર્ષે પ્રથમવાર ૩૩ નવી કંપનીઓ પ્લેસમેન્ટમા જોડાઈ હતી. કોરોનાને લીધે આ વર્ષે વર્ચ્યુઅલી પ્લેસમેન્ટ થયુ હતુ.વિદ્યાર્થીઓ-કંપનીઓ ઓનલાઈન જોડાઈ હતી અને સંપૂર્ણ પ્રક્રિયા સારી રીતે પૂર્ણ થઈ હતી. 

કુલ ૩૮૮ વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે પ્લેસમેન્ટ થયુ છે.જેમાં સેકટરવાઈઝ જોઈએ તો ૧૦૪ વિદ્યાર્થીઓનું કન્સલ્ટિંગ કંપનીઓમાં, ૭૫ વિદ્યાર્થીઓનું ફાઈનાન્સિયલ સર્વિસીસમાં ,૮૩ વિદ્યાર્થીઓનું ગુડ્સ એન્ડ કન્ઝ્યુમર સર્વિસીસ કંપનીઓમાં અને ૭૭ વિદ્યાર્થીઓનું ટેકનોલોજી-ઈન્ટરનેટ કંપનીઓમાં તથા અન્ય વિદ્યાર્થીઓનું અન્ય જુદી જુદી સેકટરની કંપનીમાં પ્લેસમેન્ટ થયુ છે. ૧૫૦ વિદ્યાર્થીઓને ૨૦૨ જેટલી ડ્રિમ એપ્લિકેશન મળી હતી.