ગાંધીનગર ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ અધ્યાપકોને નિમણુંક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક પત્ર અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી પટેલે કહ્યું હતું કે, એક શિક્ષકની જવાબદારી માત્ર અર્થોપાર્જન માટે નહિ પરંતુ, ભાવી પેઢીનું યોગ્ય ઘડતર કરી તેને તૈયાર કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતા અને વિઝનના પરિણામે આજે ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નું અમલીકરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિ-ર૦ર૦ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી અને આજના સમયની જરૂરિયાત છે. આપની નિમણૂક એવા સમયે થઈ રહી છે, જ્યારે શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે પસંદગી પામેલા તેજસ્વી અને સક્ષમ પ્રાધ્યાપકો સમર્પણ અને પ્રતિબદ્ધતા થકી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના સફળ અમલીકરણમાં મૂલ્યવાન ટેકો આપશે અને આ પહેલમાં સકારાત્મક યોગદાન આપશે, તેવો મંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે એ જ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા જી.પી.એસ.સી. દ્વારા પસંદગી પામેલા મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક આપવામાં આવી છે. ત્યારે નવનિયુક્ત પ્રાધ્યાપકો પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને યોગ્ય રાહે દોરી એક શિક્ષકથી વધુ ગુરુનો દરજ્જાે મેળવશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત ઉમેદવારોને શિક્ષણ વિભાગમાં આવકારતા મંત્રીએ કહ્યું હતું કે, શિક્ષણથી વિશેષ કોઈ સેવા નથી અને વિદ્યાદાન સર્વ દાન કરતાં શ્રેષ્ઠ છે. આપ સૌ ભાગ્યશાળી છો કે શિક્ષણ તમને સેવારૂપે પ્રાપ્ત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જી.પી.એસ.સી. દ્વારા મદદનીશ પ્રાધ્યાપક તરીકે પસંદગી પામેલા ઉમેદવારો પૈકી આંકડાશાસ્ત્ર વિદ્યાશાખામાં ૧૧, હિન્દી વિદ્યાશાખામાં ૨૧, ગણિતશાસ્ત્ર વિદ્યાશાખામાં ૧૧, વાણિજ્ય વિદ્યાશાખામાં ૧૬, અર્થશાસ્ત્ર વિદ્યાશાખામાં ૦૨ અને ગુજરાતી વિદ્યાશાખામાં ૦૧ મળી કુલ ૬૨ મદદનીશ પ્રાધ્યાપકોને નિમણુંક આપવામાં આવી છે.