દિલ્હી-

જિલ્લામાં શુક્રવારે સરયૂ નદીમાં એક જ પરિવારના 12 સભ્યો ડૂબી ગયા છે. સ્થાનિક પોલીસ તેમજ તરવૈયાઓની મદદથી તેમની શોધખોળ હાથ ધરાઈ છે. આ પરિવાર સિકંદરાબાદથી અયોધ્યા ફરવા માટે આવ્યો હતો. ગુપ્તાર ઘાટ પર સ્નાન કરતી વખતે આ પ્રકારનો હાદસો થયો હતો. ઘટનાની જાણ થતા જ મુખ્યપર્ધાન યોગી આદિત્યનાથે તમામ ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી કરવા માટે આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ નદીના ધસમસતા પ્રવાહના કારણે સ્નાન કરતી વખતે સૌપ્રથમ પરિવારના બે સભ્યો તણાયા હતા. જ્યારબાદ તેમને બચાવવાના ચક્કરમાં એક પછી એક 12 લોકો તણાઈ ગયા હતા. લોકોની બૂમરાણ સાંભળીને આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પરિવારના કુલ 15 સભ્યો ઘાટ પર સ્નાન કરી રહ્યા હતા. જેમાંથી 3 લોકો તરીને બહાર આવી ગયા હતા. હાલમાં સ્થાનિક તરવૈયાઓ, પોલીસ અને ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા ગુમ થયેલા 12 લોકોની શોધખોળ હાથ ધરાઈ રહી છે.