ગાંધીનગર-

કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય. સરકારી હોસ્પિટલમાં 100 બેડ હોય ત્યાં 5 બેડ અને જ્યાં 100 કરતાં વધુ બેડ હોય ત્યાં 10 બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર માટે રીઝર્વ રાખવાના રહેશે.

કોરોના વાયરસ કોવીડ-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ 1897 અન્વયે તા:13-03-2020ના જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- 2020 લાગુ કરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન પરિસ્થિતીમાં કોવિડ-19 ના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો જાય છે.કોવિડ હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દી સાથે ફરજ બજાવતાં હોસ્પિટલના સ્ટાફને પણ કોવિડ-19 ના સંક્રમણનું જોખમ રહેલું છે. કોરોના વોરિયર્સ તરીકે રાત-દિવસ ખંતથી કાર્ય કરતા તમામ સ્ટાફને પોતાની ફરજો બજાવવા પ્રોત્સાહન મળી રહે અને ઉત્સાહ જળવાઇ રહે તે માટે જે સરકારી હોસ્પિટલમાં 100 બેડ હોય ત્યાં 5 બેડ અને જ્યાં 100 કરતાં વધુ બેડ હોય ત્યાં 10 બેડ ડોક્ટરો તથા હેલ્થકેર વર્કર ( સરકારી / ખાનગી સહિત ) માટે રીઝર્વ રાખવાના રહેશે એમ રાજયના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.