ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમેઝોનના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો પ્રારંભ કરાવતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમએસએમઇ ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી,આદિજાતિઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓન લાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે.

તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓને અસર પહોંચાડી છે. પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે. ગુજરાતમાં આ કપરા સમય માં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસ ના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના ૪૧ હજાર જેટલા એમએસએમઇને પોતાના ઉદ્યોગો ને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર છે. હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારી ની તકો આ સેકટર પૂરી પાડશે. આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને વડાપ્રધાન મોદીની આત્મ ર્નિભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે.ગુજરાતે કોરોનાના સમયમાં પણ ના ઝુકના હે ના રૂકના હે ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે.

તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમયમાં પણ દેશ ભરમાં સૌથી વધુ ૩૭ ટકા એફડીઆઇ મેળવ્યું છે. એટલું જ નહીં બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનો ને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.મુખ્યમંત્રીએ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્રના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી. આ અવસરે એમેઝોન ઈન્ડીયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ ,પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વચ્ર્યુઅલ માધ્યમથી જાેડાયા હતા.