ગાંધીનગર, વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. તેમને મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં , બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા, જે નોર્મલ હતા. કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેમને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેમની પરિસ્થિતિ હાલ સ્થિર છે અને કોઈ ચિંતાવાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી વિજય રુપાણી ૧૪ દિવસ સુધી ક્વોરન્ટીન રહેશે.

મળતી માહિતી પ્રમાણે ૨૮મી ફેબ્રુઆરી સુધી સીએમ વિજય રૂપાણીના તમામ જાહેર કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સીએમ નિવાસસ્થાને કોઈ નવા વ્યક્તિને પ્રવેશ નહીં આપવામાં આવે. સીએમના તમામ સુરક્ષાકર્મીઓનો કોરોના ટેસ્ટ થશે. સીએમ નિવાસસ્થાનને સેનિટાઇઝ કરવામાં આવશે. તેમના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત સીએમ કાર્યાલયને પણ સેનિટાઇઝ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સીએમ નિવાસ્થાન અને કાર્યાલય ખાતેના કર્મચારીઓ સેલ્ફ ક્વૉરન્ટીન થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે મુખ્યમંત્રી રૂપાણીની સારવાર દરમિયાન મુખ્યમંત્રીનો ચાર્જ કોઈને આપવામાં આવશે નહીં અને ખુદ મુખ્યમંત્રી રૂપાણી વીડિયો-કોન્ફરન્સ તથા મોબાઈલના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયનું સંચાલન કરતા રહેશે. આમ, અઠવાડિયા સુધી ગુજરાત સરકાર ઝ્રસ્ર્ંને બદલે સિવિલમાંથી ચાલશે. મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો ર્નિણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જે જે લોકો સીએમના સંપર્કમાં આવ્યા હતા તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જે અંતર્ગત સરકારી પ્રધાનો, બીજેપી સંગઠનના હોદેદારો અને પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ પહેલાં ૧૪ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતાં મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે, જેને પગલે થાક અને તણાવને કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને ૨૪ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનને કારણે તેમને ચક્કર આવ્યાં હતાં. મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થતા ગૃહમંત્રી અમિત શાહે ટ્‌વીટ કરી જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુનઃ જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.