નડિયાદ : ખેડા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે આજે આગામી સમયમાં આવનારાં ધાર્મિક-સામાજીક ઉત્સવોને ધ્યાનમાં લઈને અને ખાસ કરીને નવરાત્રિ ગરબા આયોજન અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી થઈ શકશે, અને હાં આ દરમનિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત એસઓપીનું પાલન કરવું પડશે. 

આ બેઠકમાં જિલ્લા‍ કલેક્ટર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. સાથે સાથે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિ-ગરબા આયોજન અંગે કેટલીક વધુ સ્પષ્ટતાઓ કરવાની જરૂરીયાત હતી. એ મુજબ જિલ્લામાં જાહેર કે શેરી ગરબા સહિત કોઇપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં. કોઈ આયોજકો આ અંગે આયોજન કરવા ઈચ્છ‍તા હોય તો તેઓએ આ અંગે અગાઉથી જિલ્લા કલેક્ટરની સંમતિ લેવી પડશે. તેમજ કોવિડ-૧૯ના નિયમોનું ચુસ્તેપણે પાલન કરવાનું રહેશે. નવરાત્રિ દરમિયાન માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિઓની ઉપસ્થિતિ અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની એસઓપીના પાલન સાથે કરી શકાશે. તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહીં, માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ અંગે નવરાત્રિના ગરબા, દશેરા, દિવાળી, નૂતન વર્ષ સ્નેહમિલન અને શરદ પૂનમના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. તેનું ચુસ્તનપણે પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને ર્નિણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર, ૨૦૨૦થી કરવાનો રહેશે. આ ર્નિણય અનુસાર નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં. ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં થઈ શકે. ૨૦૦થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં. તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક રહેશે.

તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે. કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્કસ શરતોને આધિન પરવાનગી અપાશે. તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે. સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાંને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે. થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓક્સી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનિટાઇઝ કરવાના રહેશે. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ૬૫થી વધુ વયના વયસ્ક નાગરિકો, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. આવાં સમારંભો હોલ, હોટલ, બેન્ક્‌વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજાેની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે ત્યાંની ક્ષમતાના ૫૦ ટકા કે વધુમાં વધુ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે. લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં ૧૦૦ વ્યક્તિઓ ભાગ લઈ શકશે. મૃત્યુ બાદની અંતિમક્રિયા - ધાર્મિક વિધિમાં મહત્તમ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

આ વર્ષે ઉત્સવો પરિવાર સાથે ઘરમાં જ મનાવો

તેઓએ આગળ જણાવ્યું હતું કે, દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ શરદપૂર્ણિમા જેવાં ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારનાં સભ્યો સાથે કરવા સલાહભર્યું છે. આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવાં સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠાં થતાં હોય તેનાં પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે. તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહીં માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય.