સુરત-

સરથાણામાં ઓફિસ શરૂ કરી કંપનીમાં રોકાણ કરી ૨ વર્ષમાં ડબલ રૂપિયા આપવાની ગેરન્ટી આપનાર ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ કંપની ઊઠી જતાં કંપનીના ડિરેક્ટરો સહિત ૯ વિરુદ્ધ સરથાણા પોલીસમાં ગુનો દાખલ થયો છે. આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ કરવા ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લિ. નામથી માર્કેટિંગ કંપની આરોપી ભાર્ગવ પ્રવીણચંદ્ર પંડ્યાએ સરથાણા જકાતનાકા પાસે ગોકુલમ આર્કેડમાં ૫ વર્ષ પહેલાં શરૂ કરી હતી. તે લોકોને લલચાવવા બોલિવૂડ પાર્ટી પણ આપતો હતો. (સોસાયટી,સરથાણા) પણ સામેલ હતાં. કંપનીમાં રોકાણ કરવાથી આયુર્વેદિક પ્રોડક્ટ અથવા અન્ય કોઈ સામાન આપતા હતા.

શરૂમાં રૂ.૭૫૦૦ ભરવાના હતા તેમજ પોતે રોકાણ કરાવ્યા બાદ બીજા સભ્યો બનાવનારને કમિશન આપવાની જાહેરાત કરી હતી. રોકાણ કરનારને ૨૪ માસમાં ડબલ રૂપિયા આપવાની ગેરન્ટી આપી હતી. કોઈ વસ્તુ ન જાેઈતી હોય તો માત્ર રોકાણ પણ કંપનીમાં કરી શકાય એવી પણ સ્કીમ હતી. તેમણે દાવો કર્યો હતો કે કીમમાં રામદેવ પીવીસી પાઇપ અને રોયલ કન્સ્ટ્રક્શનનું મોટું કામકાજ થાય છે. એપ્રિલ ૨૦૧૯માં કંપની ઊઠી જતાં એની ઓફિસ પણ બંધ કરી દેવાઈ હતી. ઓફિસે જનારા રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો. રોકાણ કરનારા પૈકીના અભિમન્યુ પાટીલ( ૫૯ વર્ષ રહે.ઓમનગર,ડિંડોલી)એ પોતે અને ઓળખીતા ૨૭ લોકોના ૪૫.૫૦ લાખનું કંપનીમાં રોકાણ કર્યું હતું,

પરંતુ રૂપિયા ન મળતાં ૯ સામે ઠગાઈ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. એમાં ભાર્ગવ, જિતેન્દ્ર મોહંતો, કોશિક રાઠોડ(રહે. અમરોલી), સંજય દેસાઈ(રહે. રાજ પેલેસ,અડાજણ) અને વિનોદ વણકર(રહે. ગાર્ડન વ્યૂ એપાર્ટમેન્ટ,રાંદેર)ની ધરપકડ થઈ છે, જ્યારે શિવાની, મહેન્દ્ર, હનીસિંઘ અને નવીન મોહંતો(બંને રહે. તલંગપુર રોડ) વોન્ટેડ છે. ભાર્ગવ પંડ્યા સહિતનાએ મુંબઈ અને દિલ્હીમાં કંપનીના પ્રમોશન માટે પ્રમોશનલ પ્રોગ્રામ કરતા હતા. તેઓ ઘણી વખત ઓછી ખરીદી પર વિદેશ ટૂરની પણ લાલચ આપતા હતા. એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતા હતા. હવે આ કેસની તપાસ ઈકો સેલને સોંપાઈ છે.