વડોદરા : વડોદરા ફાયર વિભાગ દ્વારા અનેક ચેતવણી અને નોટીસ આપવા છતાં કોમર્શીયલ કોમ્લેક્સોમાં ફાયર સેફ્ટીના સાધનો નહી વસાવનાર કે કાર્યરત નહી રાખનાર સામે વડોદરા કોર્પોરેશનના ફાયર વિભાગે લાલ આંખ કરી છે. આજે ફાયર વિભાગે અલકાપુરી વિસ્તારના નેશનલ પ્લાઝા અને સયાજીગંજ વિસ્તારના સિલ્વર લાઈન બિલ્ડિંગને ફાયર સેફટીમાં બેદરકારી રાખતા સીલ માર્યુ હતું.

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી બાબતે નિષ્કાળજી રાખનાર કોમર્શિયલ ઇમારતોને સીલ મારવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં સયાજીગંજ સ્થિત પ્રોફિટ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતેનું સિટાડેલ કોમ્પલેક્ષ અને દાંડિયા બજારનું નવરંગ કોમ્પલેક્ષ મળી ત્રણેવ કોમ્પ્લેક્સ સીલ મારી વીજ પ્રવાહ તથા પાણીના કનેક્શનનો બંધ કરી દેવામાં આવ્યા હતા.

ત્યારે આજે વધુ બે કોમર્શિયલ ઇમારત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અલકાપુરી વિસ્તારની નેશનલ પ્લાઝા અને સયાજીગંજ વિસ્તારની સિલ્વર લાઇન બિલ્ડિંગને અનેકવાર નોટીસ અને ચેતવણી આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગેની જરૂરી સુવિધા સમયમર્યાદા વિત્યા બાદ પણ ઉભી ન કરાતાં સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.આ બન્ને કોમપ્લેક્સ માં અનેક નામાંકીત શોરૂમ્સ આવેલા છે.

ે ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં અગાઉ ફાયર સેફટી અભાવના પગલે આ પ્રકારની ઇમારતો ના કારણે દુર્ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી વડોદરામાં કોઈ દુર્ઘટના ના ઘટે તેની સાવચેતીના ભાગરૂપે ઝુંબેશ આગામી દિવસોમાં પણ કાર્યરત રહેશે. જેથી હાઈરાઈઝ રહેણાક ઇમારતોને પણ વહેલી તકે ફાયર સુવિધા ઉભી કરવા સુચના આપવામાં આવી છે.