દિલ્હી-

ભારતમાં કોરોના વૅક્સીનેશનની શરૂઆત આગામી વર્ષે જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે અને ઓક્ટોબર સુધીમાં દેશના દરેક નાગરિકને વૅક્સીનનો ડોઝ મળી શકે છે. આ દાવો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ કર્યો છે. તેમનું કહેવું છે કે, તેમની કંપનીને આ મહિનાના અંત સુધી વૅક્સીનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.

SIIના CEO પૂનાવાલાએ કહ્યું કે, અમને આશા છે કે, ઓક્ટોબર 2021 સુધી ભારતમાં દરેકનું વૅક્સીનેશન થઈ જશે. જે બાદ જનજીવન ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકે છે. આ મહિનાના અંત સુધી અમને ઈમરજન્સી લાઈસન્સ મળી શકે છે, પરંતુ વ્યાપક ઉપયોગ માટે લાઈસન્સ પાછળથી મળી શકે છે. પૂનાવાલાએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે ભારતમાં વૅક્સીનેશન અભિયાન જાન્યુઆરી 2021 સુધીમાં શરૂ થઈ શકે છે. આગામી વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આશા છે કે, દરેક માટે પૂરતી વૅક્સીન હશે અને સામાન્ય જીવન ફરીથી પાટા પર આવશે. 

તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયાની મુલાકાત લીધી હતી અને કોરોના વાઈરસની વૅક્સીનની તૈયારીની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઝ્રઈર્ં અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, તેમની કંપનીનું ફોક્સ છે કે, એસ્ટ્રેજેનેકાની કોરોના વૅક્સીન સૌ પ્રથમ ભારતમાં આપીએ. જે બાદ વિશ્વના અન્ય દેશોમાં સપ્લાય કરાય. સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને એસ્ટ્રેજેનેકા દવા કંપનીની વૅક્સીનનું ઉત્પાદન ભારતમાં જ કરી રહી છે.