જામનગર-

શહેરમાં કોરોના કાળ દરમિયાન રોજ 12 થી 15 લોકોના મોત નિપજી રહ્યા છે. તેમજ શહેરની કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓએ દમ તોડ્યો છે. ખાસ કરીને શહેરમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લઈ જવામાં આવે છે. જ્યાં લોકોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગે છે. ત્યારે આખરે કોંગ્રેસના કોર્પોરેટર દેવશી આહીરે ત્રીજા સ્મશાનની માંગ સાથે આજથી નગર યાત્રા શરૂ કરી છે.

જ્યારે શહેરમાં બે વર્ષ પહેલાં જનરલ બોર્ડમાં ત્રીજા સ્મશાન માટે મંજૂરી પણ આપવામાં આવી હતી. જોકે, મહાનગરપાલિકા દ્વારા સ્મશાન બનાવવામાં ન આવતાં આખરે દેવશી આહીરે સ્મશાનની માંગ સાથે નગર યાત્રા શરૂ કરી છે. જેમાં કોર્પોરેટરે પોતાના શરીર પર ત્રીજા સ્મશાનની માંગના સ્લોગન પણ લગાવ્યા છે. આ સાથે શહેરીજનોને પત્રિકા પણ વિતરણ કરી હતી. જ્યારે કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓને મોત બાદ પણ સ્મશાનમાં સુવિધા ન હોવાને કારણે 8 થી 10 કલાક લાઈનમાં રાખવામાં આવે છે. ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર દેવસી આહિરે સાત દિવસની નગરયાત્રા કરી તાત્કાલિક સ્મશાન મંજુર કરવામાં આવે તેવી માંગ કરી છે.