અમદાવાદ

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાની સ્થિતિ વધારે વણસી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના તમામ બાગ- બગીચા, કાંકરિયા તળાવ અને પ્રાણીસંગ્રહાલય આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારે બાગ-બગીચા બંધ કરવાના નિયમનો અમલ અન્ય શહેરોમાં પણ થવાની સંભાવના છે.

આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. જો કે રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરાતા હવે રાત્રીના 10 વાગ્યા બાદથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જેનો અમલ 31 માર્ચ સુધી થશે.