આણંદ, તા.૨૫ 

એવું કહેવાય છે કે ચરોતરની જમીન ફળદ્રુપ છે. અલબત્ત, અહીં કહેવું પડે કે, ચરોતરની જમીન જ નહીં અહીંના ધરતીપૂત્રોના મગજ પણ એટલાં જ ફળદ્રુપ છે. આણંદ જિલ્લા આત્મા પ્રોજેક્ટ અને ડાંગર સંશોધન કેન્દ્ર નવાગામનાં સયુક્ત પ્રયાસથી આણંદના વણસોલ ગામે ખેડૂતોને ડાંગરની વાવણી માટે બનાવેલાં હલકા ફૂલકાં ડ્રમ સીડર મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે આજુબાજુનાં ૧૦ ગામડાનાં ૩૦થી વધુ ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયાં હતા.

ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલના ખેતરે ડાંગરની ખેતી વાવણીથી કરી શકાય તેવાં એક મશીનનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. ડાંગરની ખેતી ખાસ કરીને વધુ પાણી પર આધારિત હોય છે, જેમાં આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારાં એવાં પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે. ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેત મજૂરોની જરૂરિયાત પડે છે. હાલના સમયમાં કોરોના મહામારીના કારણે ડાંગરની રોપણી કરવા માટે ખેત મજૂરો મળવા મુશ્કેલ છે ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ આ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે પોતાના ખેતરમાં ડાંગરની વાવણી ઓછા સમયમાં ખેડૂતો કરી શકે તે માટે ડ્રમ સીડર મશીનનું ડેમોસ્ટ્રેશન ગોઠવ્યું હતું. આ મશીનથી ડાંગરાની વાવણી ઓછા સમયમાં એક જ વ્યક્તિ કરી શકે છે. કોઈપણ જાતના અન્ય વધારાના ખર્ચ વગર ઓછા ખર્ચે ઉત્પાદન વધુ મેળવી શકાય છે અને આ મશીન વજનમાં હલકું હોવાથી એક જ વ્યકિત આસાનીથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે. ડ્રમ સીડરથી સરળતાથી રોપણી કરી શકાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાતનાં કરેલાં આહવાનના ભાગરૂપે ગુજરાતભરમાં ખેડૂતો પોતાની રીતે નૂતન અભિગમ અને સંશોધન કરતાં રહેતાં હોય છે. એ જ પ્રમાણે ઉમરેઠ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત મનીષભાઈ પટેલ ડાંગર રોપણીનું સરળ ડ્રમ સીડર બનાવ્યું છે.