છોટાઉદેપુર, જેમના હૈયે સૌ કોઈનું હિત વસેલું છે એવા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી થશે એમ રાજ્યના રાજ્યકક્ષાના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, ગૌ સંવર્ધન મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા જણાવાયું હતુ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સુશાસન દિન નિમિતે યોજાયેલ ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, સરકાર રાજ્યમાં વસતા તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે સતત ચિંતા અને ચિંતન કરી રહી છે એમ ઉમેરી તેમણે રાજ્યના ખેડૂતોને કૃષિ કાયદાઓ બાબતે ફેલાવવામાં આવતી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ગુજરાતે કરેલા તમામ ક્ષેત્રોમાં સમતોલ વિકાસ થકી સમગ્ર વિશ્વમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે એમ ઉમેર્યું હતુ. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધિ અંગે વાત કરતા જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી આજે દેશના નવ કરોડ ખેડૂતોના બેંક ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા સીધા જમા કરાવશે એમ જણાવ્યું હતુ.તેમણે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. છોટાઉદેપુરના સાંસદ શ્રીમતિ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ અંગે જાણકારી આપતા તેમણે આ કાયદાઓથી ખેડૂતોને સાચા અર્થમાં આઝાદી મળશે એમ જણાવી રાજ્ય સરકારની સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાની વિગતે જાણકારી આપી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ, ચેક અને મંજૂરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપણીની અધ્યક્ષતામાં આયોજિત સુશાસન દિવસની ઉજવણીનું વિડિયો કોન્ફરન્સથી જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના વિષયક ફિલ્મ અને ઇ- સેવાસેતુ અંગેની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.