દિલ્હી-

સુપ્રીમ કોર્ટ માટે મંગળવારનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે, આજે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટને 9 નવા ન્યાયાધીશ મળશે. કોલેજિયમની ભલામણ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ તમામ ન્યાયાધીશોની નિમણૂકના વોરન્ટ પર સહી કરી દીધી હતી. આ ઉચ્ચ કોર્ટના ઈતિહાસમાં પહેલી વખત છે. જ્યારે 9 ન્યાયાધીશ એક સાથે પદના શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ સુપ્રીમ કોર્ટના અતિરિક્ત ભવન પરિસરમાં યોજાશે. પરંપરાગત રીતે નવા ન્યાયાધીશોના પદની શપથ મુખ્ય ન્યાયાધીશના કોર્ટ કક્ષમાં અપાવવામાં આવે છે. મંગળવારે 9 નવા ન્યાયાધીશોના શપથ લેવાની સાથે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની સંખ્યા 33 થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં CJI સહિત કુલ 34 ન્યાયાધીશ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના જનસંપર્ક કાર્યાલય દ્વારા જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે, આ ભારતના સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પહેલી વખત છે. જ્યારે 9 ન્યાયાધીશ એક વારમાં પદના શપથ ગ્રહણ કરશે. આ ઉપરાંત સમારોહ સ્થળને સભાગારમાં સ્થળાંતરિત કરી દવામાં આવ્યું છે. આ કોરોનાની ગાઈડલાઈનના પાલનની આવશ્યકતાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, શપથ ગ્રહણ સમારોહનું ડીડી ન્યૂઝ, ડીડી ઈન્ડિયા પર સીધું પ્રસારણ કરવામાં આવશે અને 'લાઈવ વેબકાસ્ટ' સુપ્રીમ કોર્ટના સત્તાવાર વેબ પોર્ટલના હોમ પેજ પર પણ ઉપલબ્ધ હશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લેનારા 9 નવા ન્યાયાધીશોમાં ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકા, જે કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશહતા, ન્યાયાધીશ વિક્રમનાથ જે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, ન્યાયાધીશ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, જે સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા, ન્યાયાધીશ હીમા કોહલી, જે તેલંગાણા હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ હતાં અને ન્યાયાધીશ બી. વી. નાગરત્ના, જે કર્ણાટક હાઈકોર્ટનાં ન્યાયાધીશ હતાં જે સામેલ છે. રિલીઝ પ્રમાણે, આ ઉપરાંત ન્યાયાધીશ સી. ટી. રવિકુમાર, જે કેરળ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા), ન્યાયાધીશ એમ. એમ. સુંદરેશ, જે મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ હતા, ન્યાયાધીશ બેલા એમ. ત્રિવેદી જે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ હતાં અને પી. એસ. નરસિમ્હા, જે એક વરિષ્ઠ એડવોકેટ અને પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ હતા)ને પણ મુખ્ય ન્યાયાધીશ દ્વારા પદની શપથ લેવડાવવામાં આવશે.