લખનૌ-

પૂર્વ ભારતીય ક્રિકેટર અને ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણની હાલત ગંભીર બની ગઈ છે અને તેમને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 19 જુલાઇના રોજ તેઓ કોરોના પોઝિટિવ થયા હતા. 

પૂર્વ ક્રિકેટર અને યુપીના કેબિનેટ મંત્રી ચેતન ચૌહાણને હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે અને તેમની સ્થિતિ ગંભીર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચેતન ચૌહાણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. જુલાઈ મહિનામાં ચેતન ચૌહાણનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આવામાં હવે ચેતન ચૌહાણની તબિયત વધુ લથડી રહી છે. ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં ચૌહાણ પાસે લશ્કરી કલ્યાણ, હોમગાર્ડ્સ, પીઆરડી અને નાગરિક સંરક્ષણ મંત્રાલય છે.

મહત્વનું છે કે ચેતન ચૌહાણ ભારતીય ક્રિકેટ ટીમના મહત્વપૂર્ણ બેટ્સમેન રહી ચૂક્યાં છે. ત્યારે હવે ચૌહાણ ભારતીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ચેતન ચૌહાણ ભારતીય જનતા પાર્ટી  ના લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. 1991 અને 1998 ની ચૂંટણીમાં તેઓ ભાજપના ટિકિટ પર સાંસદ બન્યા હતા. ચેતન ચૌહાણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 40 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય ચેતન ચૌહાણે સાત વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યુ છે. ચેતન ચૌહાણે ટેસ્ટ મેચોમાં 2084 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેનો સર્વોચ્ચ સ્કોર 97 રન છે.