ગાંધીનગર ગુજરાત સરકારના મહેસૂલ મંત્રીના પીએસ સહીત તેમના સ્ટાફના છ સભ્યો અને ગૃહ રાજ્ય મંત્રીની ઓફિસના ચાર કર્મચારી અને બે કમાન્ડો મળીને છ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. આમ આ બે મંત્રીની ઓફિસના સ્ટાફના કુલ એક ડઝન કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં સચિવાલય સંકુલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્ર દરમિયાન રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડી હતી. જાે કે હવે આજે તેમની ઓફિસ સ્ટાફમાં પીએસ સહીત છ કર્મચારીઓને સંક્રમિત કરીને કોરોનાએ તરખાટ મચાવ્યો છે. રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની ઓફિસ સ્ટાફમાં પીએસ તરીકે કાર્યરત પી.એસ.હારેજા, આસીસ્ટન્ટ પીએસ એચ.પી.પટેલ, પી.એ.પટેલ અને નાયબ કલેક્ટર વિમલ પટેલ સહિત કોમ્પ્યુટર ઓપરેટર ધીરુભા ઝાલા અને સેવક છગનભાઈ સહીત કુલ છ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ કોરોના ગ્રસ્ત થયા બાદ તેમની ઓફિસ સ્ટાફના ચાર કર્મચારીઓ તેમજ ગૃહ રાજ્ય મંત્રીના સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા બે કમાન્ડો મળીને છ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.અત્યાર સુધીમાં રાજ્યના પાંચ મંત્રીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. વિધાનસભાના સત્ર શરૂ થયા પછીના અત્યાર સુધીના એક મહિનાના સમય ગાળામાં કુલ ૧૮૦ ધારાસભ્યોમાંથી પાંચ મંત્રીઓ મંત્રી સહિત દોઢ ડઝનથી વધુ ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદમાં વૅક્સિન લીધાના ૧૨ કલાક બાદ શ્વાસ લેવામાં તકલીફથી આધેડનું મોત

અમદાવાદ જીવલેણ કોરોના વાઈરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે વૅક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. લોકોને વધુમાં વધુ પ્રમાણેમાં કોરોના વિરોધી રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જાે કે વૅક્સિન લીધા બાદ પણ અનેક લોકોની તબીયત ખરાબ થયા હોવાની વાતો સામે આવી છે. આવા જ એક કિસ્સામાં કોરોના વિરોધી રસી લીધાના ૧૨ કલાક બાદ એક આધેડ વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં મનસુખ ગેડિયા તેમના સંતાનો સાથે રહે છે. રાજ્યમાં કોરોનાના વધતા જતાં સંક્રમણને જાેતા તેમણે પણ વૅક્સિન લેવાનો ર્નિણય કર્યો હતો. જે બાદ મનસુખભાઈ પોતાની પત્ની સાથે રસી લેવા માટે વિરાટનગર સ્થિત અર્બન હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડૉક્ટરોને જાણ કરી હતી કે, તેમની બાયપાસ સર્જરી થઈ છે. શું તેના કારણે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થશે? જેના જવાબમાં ડૉક્ટરોએ ના પડ્યા બાદ તેમણે અને પત્નીએ રસી લીધી હતી. કોવિડ વૅક્સિન લીધા બાદ તેઓ કામ પર પણ ગયા હતા. કામ પરથી આવ્યા બાદ મનસુખભાઈ અને તેમની પત્નીને તાવ આવવા લાગ્યો હતો. જાે કે મનસુખ ગેડિયાની તબીયત વધારે ખરાબ થવા લાગી હતી. મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.