ગાંધીનગર-

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. નાણાપ્રધાન નીતિન પટેલે શિક્ષણ વિભાગ માટે રૂ.32,719 કરોડની વિવિધ જોગવાઇની જાહેરાત કરતા કહ્યું કે, શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણ આગામી સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારી ફેરફારો સૂચિત કરવામાં આવ્યાં છે.

પ્રારંભિક અને પ્રાથમિક શિક્ષણ પર ભાર મુકતા નાણાપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરૂપ શિક્ષણ પદ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલસ ઓફ એકસેલન્સ ગુજરાતના વિદ્યાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. Gujarat Budget 2021-22 અંતર્ગત શિક્ષણ વિભાગ માટે કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓની થોડી માહિતી જોઈએ.

શિક્ષણ વિભાગ માટે રૂ.32,719 કરોડની અલગ-અલદ જોગવાઇ

1) 3400 શાળાઓ માટે રૂ.1207 કરોડની જોગવાઈ

બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ.1207 કરોડનું આયોજન.

2) મધ્યાહન ભોજન સહીત અન્ય યોજનાઓ માટે રૂ.1044 કરોડની જોગવાઈ ધોરણ-1 થી 8 ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ.1044 કરોડની જોગવાઇ.

3) RTE અંતર્ગત રૂ.567 કરોડની જોગવાઈ રાઇટ-ટુ-એજયુકેશન - RTE એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂ.567 કરોડની જોગવાઇ.

(4) MYSY માટે રૂ.287 કરોડની જોગવાઈ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે રૂ. 287 કરોડની જોગવાઈ.

5) ફ્રી બસ પાસ માટે રૂ.205 કરોડની જોગવાઈ ફ્રી બસ પાસ માટે 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે રૂ.205 કરોડની જોગવાઇ.

6) ટેબ્લેટ સહાય યોજના માટે રૂ.200 કરોડની જોગવાઈ

કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ.200 કરોડની જોગવાઈ.

7) માળખાગત સુવિધાઓ માટે રૂ.80 કરોડની જોગવાઈ

હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે રૂ.80 કરોડની જોગવાઇ.

8) પીવાના શુદ્ધ પાણીમાટે રૂ.72 કરોડની જોગવાઈ

રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ.72 કરોડની જોગવાઇ.

9) વિનામૂલ્યે પાઠયપુસ્તકો માટે રૂ.65 કરોડની જોગવાઈ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા રૂ. 65 કરોડની જોગવાઇ

10) વાહનવ્યવહારની સુવિધા માટે રૂ.60 કરોડની જોગવાઇ

જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી 1 કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. 60 કરોડની જોગવાઇ

11) સ્કૂલ નવીનીકરણ માટે રૂ.25 કરોડની જોગવાઇ

ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્ત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ.25 કરોડની જોગવાઇ.

12) શોધ યોજના માટે રૂ.20 કરોડની જોગવાઈ

રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડની જોગવાઈ

13) સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ માટે રૂ.20 કરોડની જોગવાઇ

વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડની જોગવાઇ.

14) ડિસ્ટન્સ લર્નિગની માટે રૂ.20 કરોડની જોગવાઇ

આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ઘોરણ-11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે રૂ.20 કરોડની જોગવાઇ.

15) મિશન ગુરુકુળ યોજના માટે રૂ.10 કરોડની જોગવાઈ

અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત રૂ.10 કરોડની જોગવાઇ.