ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો- મોટા શહેરો સાથે નાના નગરો, ગામોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ દ્વારા સમ્યક વિકાસનો ધ્યેય રાખ્યો છે. આ હેતુસર મુખ્યપ્રધાને નાના નગરો તથા વિસ્તાર વિકાસ મંડળોના વિકાસ નકશા એટલે કે ડેવલપમેન્ટ પ્લાનને આખરી ઓપ આપીને તે વિસ્તારના ભવિષ્યના સુઆયોજિત વિકાસને કેન્દ્રસ્થાને રાખ્યો છે.

મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ બેચરાજી જેવા ગ્રામ્ય વિસ્તારને શહેરની ભૌતિક સુવિધાઓ આપીને તેની નજીકના માંડલ-બેચરાજી એસ.આઈ.આર. (સર) સમકક્ષ વિકાસની કેડી કંડારવાના આશયે બેચરાજીના પ્રથમ વિકાસ નકશાને મંજૂરી આપી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપેલી આ મંજૂરીને પરિણામે બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળ અંતર્ગત બેચરાજી ગામના અંદાજે 7.87 ચોરસ કિલોમીટર રેવન્યુ વિસ્તારનો વિકાસ થશે.ખાસ કરીને બેચરાજી માતાના દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓ, લાખો ભક્તોને પાર્કિંગથી લઇ દર્શન સુધી કોઈ તકલીફ ન પડે તેવા સુદ્રઢ આયોજનને ઓપ આપી કેટલાક સુધારા માટે જાહેર જનતાના વાંધા-સૂચનો મેળવવા પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવા સાથે વિકાસ નકશાને મંજૂરી અપાઇ છે. બેચરાજીની આ વિકાસ યોજનામાં રહેણાંક, વાણિજ્યક, ઔદ્યોગિક, જાહેર હેતુ, પાર્કિગ સહિત 09 મીટર, 12 મીટર, 18 મીટર, 24 મીટર, 36 મીટર તેમજ 90 મીટર પહોળા રસ્તાઓનું આયોજન સુચવેલું છે. જેનાથી આવતા વર્ષોમાં બેચરાજીની એક અલગ જ ઓળખ ઉભરી આવશે.

મુખ્યપ્રધાને લીંબડી વિસ્તાર વિકાસ સત્તામંડળના રિવાઇઝ્ડ પ્લાનને પણ મંજૂરી આપી છે. રાજાશાહી વખતના શહેર લીંબડીના આશરે 13.40 ચો.કિ.મી. વિસ્તાર માટે વિવિધ ઝોનીંગ સહિત ગામતળ બહાર આયોજિત વિસ્તારમાં ગ્રીડ પેટર્નમાં સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે. જેમાં 12 મીટરથી લઈ 40 મીટર સુધીના અલગ-અલગ પહોળાઈના રસ્તાઓ સુચિત કરેલા છે.લીંબડી જેવા નાના શહેરમાં પણ ભવિષ્યમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ દ્વારા વધુ સુઆયોજીત વિકાસ કરવાના ઉદ્દેશથી, આ વિકાસ નકશામાં ડી.પી.ના કોઈ રીઝર્વેશન સુચવેલા નથી. આમ, સૌરાષ્ટ્ર તરફ જતા હાઇવે પરના શહેર લીંબડીના રીવાઇઝ્ડ ડેવલપમેન્ટ માટેના પ્રાથમિક જાહેરનામાને પ્રસિધ્ધ કરવા મુખ્યપ્રધાને મંજૂરી આપી છે.

મુખ્યપ્રધાને નવસારી અને વિજલપોર તેમજ આજુબાજુના 15 ગામો મળી 71.37 ચો.કિ.મી. વિસ્તાર માટે રચાયેલા નવસારી શહેરી વિકાસ સત્તામંડળ (NUDA)ની પ્રથમ વિકાસ યોજનાને પણ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ વિકાસ યોજનાથી NUDAમાં સમાવિષ્ટ તમામ ગામોમાં વિકાસની નવી તકો ઉભી થશે તથા સુઆયોજીત વિકાસના કારણે સમગ્ર શહેરી વિકાસના વિસ્તારની આગવી ઓળખ ઉભી થશે.ખાસ કરીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટાઉન પ્લાનીંગ સ્કીમ બનાવવા ઉપર વધુ ભાર મુકતાં અને શહેરની આંતરમાળખાકીય સવલતો માટે ટી.પી. મારફતે જમીન મેળવવાનું જણાવતા, નવસારી ઓથોરીટીના ડેવલપમેન્ટ પ્લાનમાં એક પણ રિઝર્વેશન સુચવેલું નથી. આ વિકાસ યોજનામાં હયાત રસ્તાઓનું રિસર્ફેસીંગ, સુચિત નવા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ વગેરે સહિતની આંતરમાળખાકીય સવલતો આપવા રૂપિયા 655 કરોડનો ખર્ચ આગામી 10 વર્ષમાં થવાનો અંદાજ છે.