પંચમહાલ-

ગોધરા વન વિભાગ દ્વારા વેજલપુર રેન્જ ખાતે વરસાદના પાણીનો સંગ્રહ કરી આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવાના પ્રયાસના ભાગરૂપે 6 પર્કોલેશન ટેન્કનું નિર્માણ કરી જિલ્લામાં જળસંચય ક્ષેત્રે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે પિયતની વધુ સારી સવલત ઉભી કરવાના હેતુથી વન વિભાગ દ્વારા કેમ્પા (વળતર વનીકરણ યોજના) હેઠળ 30 લાખથી વધુના ખર્ચે 6 જેટલી પર્કોલેશન ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિપાલસિંહ પરમારે જણાવ્યું હતું કે, આસપાસના વિસ્તારના નાંદરખા, વાંટા, રીછીંયા સહિતના ગામના લોકો પિયત માટે કૂવા, બોર, તળાવ જેવા સ્ત્રોતોમાંથી ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે અને 20 હેક્ટરથી વધુ વિસ્તારમાં પથરાયેલ નાંદરખાના વન વિભાગની જમીન પર ચોમાસા દરમિયાન પડતું પાણી વ્યર્થ વહી જતું હતું. તેથી પર્કોલેશન ટેન્કના નિર્માણ દ્વારા આ પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવે અને પરિણામે ઉનાળામાં પણ ગ્રામજનોને સરળતાથી પાણી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ખેત તલાવડીઓનું નિર્માણ એ પ્રકારે કરવામાં આવ્યું છે કે, એક તલાવડી પાણીથી પૂર્ણ રીતે ભરાય ત્યારે પાણી બીજા નંબરની તલાવડીમાં અને ત્યારબાદ ત્રીજા નંબરની તલાવડીમાં એમ ક્રમશઃ તમામ 6 તલાવડીઓમાં ભરાય. આ ઉપરાંત, કેમ્પા (કોમ્પનસેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરીટી) યોજના હેઠળ આ વિસ્તારમાં 17, 160 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષોમાં કરંજ, સાગ, વાંસ, બીઓ, જાંબુ, રાયણ સહિતના ફળ આપતા, ઈમારતી લાકડું આપતા વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, બારે માસ લીલા રહે તે પ્રકારના વૃક્ષોથી આકાશમાંથી જોતા “ગોધરા વન વિભાગ” લખેલ વંચાય તે પ્રકારે ગોઠવણ કરવામાં આવી છે. વૃક્ષોની મદદથી તૈયાર કરાયેલ આ લખાણ ગોધરા વન વિભાગ દ્વારા વિસ્તારમાં કરવામાં આવેલી સુંદર કામગીરીનું પ્રતીક અને વિશેષ ઓળખ બની રહેશે.