આણંદ : પશુપાલનના વ્યવસાયને લીધે કુદરત સાથે નીકટનો નાતો ધરાવતો વિશાળ રબારી સમુદાય પણ ગોપાલક સમાજનો જ એક અભિન્ન હિસ્સો છે. તેમની જીવનશૈલી તેમજ રીત રિવાજાેમાં પ્રકૃતિના પૂજનની પરંપરા હજુ પણ જીવંત છે. આ પરંપરાના પાલનરૂપે મહાસુદ બીજને રબારી સમાજ તેમજ ગૌપાલકો મહિબીજ તરીકે ઉજવે છે. આ અવસરે આણંદ જિલ્લાના વાસદ અને વહેરાખાડી મહિસાગર માતાજીના મંદિર તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહિસાગર માતાજીના મંદિરે રબારી સમાજ સહિત ગૌપાલકોએ મોટી સંખ્યામાં મહિસાગરનો ભક્તિભાવપૂર્વક ખોળો ખુંદ્‌યો હતો. મહિસાગર માતાનાં દૂગ્ધાભિષેક, પવિત્ર સ્નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહિના કાંઠે ઉમટી પડતાં લોકમાતાનું રંગબેરંગીન વાતાવરણ સર્જાયું હતું.

રબારી સમાજ દ્વારા મહિબીજની ઉજવણી પાછળ પણ એક રોચક આસ્થા કથા વણાયેલી છે. આ પરંપરા ઘણાં જૂનાં સમયથી ચાલતી આવતી હશે, તેમ મનાય છે. આ કથા પ્રમાણે લોકમાતા મહિના, જ્યારે સાગર સાથે લગ્ન યોજાયાં ત્યારે ગોપાલક સમાજના વ્યક્તિએ ચોથા મંગળફેરાએ તેમનું સવા રૂપિયો અર્પણ કરીને કન્યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહિ અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયાં હતાં, તેવી પ્રખર લોકશ્રદ્ધા પ્રવર્તમાન છે.

રબારી સહિત ગોપાલક સમાજનો વિશાળ વર્ગ લોકમાતા મહિને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે. ગોપાલક દ્વારા લોકમાતાના કન્યાદાનને યાદ કરીને મહિબીજના દિવસે ગામે ગામથી રબારી સમાજ કુટુંબ કબીલા સાથે મહિસાગર માતાનાં ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેનાં દ્વારા મહિસાગરના જળનો અભિષેક અને પવિત્ર સ્નાન કરે છે. પ્રસાદરૂપે ખાલી કેનમાં મહિમાતાનું પાવન જળ ભરે છે. વાસદના નદી કાંઠે આવેલાં મહિસાગર માતાના મંદિરે પણ દર્શન-પૂજન કરે છે. યજ્ઞ પણ યોજાય છે અને મંદિરે ઉપવાસીઓને ફળાહાર પણ કરાવવામાં આવે છે. પ્રકૃતિની ભક્તિનું અપૂર્વ શ્રદ્ધાભર્યું વાતાવરણ જાેવાં મળે છે. ઘેર જઇને પ્રસાદરૂપે સાથે લાવવામાં આવેલાં મહિજળનો માલઢોર અને ઘરસંપદા પર છંટકાવ કરવામાં આવે છે. મહિસાગર માતા બધાનું કલ્યાણ અને રક્ષણ કરે તેવી ભાવના તેની પાછળ કામ કરે છે. રબારી સમાજના લોકો બહુધા મહિબીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ કરતાં નથી. સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે. ભક્તિભાવપૂર્વક સંધ્યાકાળે બીજના ચંદ્રમાના દર્શન કરે છે. તે પછી મહિસાગર માતાને ખીર અને સુખડીનો નેવેધ્ય ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે. પ્રકૃતિ માતાના ગૌરવનો આ ઉત્સવ તેમના ભાતીગળ જીવન સાથે વણાઇ ગયો છે.

રબારી સમાજન શક્તિનો ઉપાસક છે. તેઓ ભગવાન શિવને પરમ પિતા અને મા શક્તિને માતા માને છે. જૂનાં જમાનામાં રાજવીઓ ખાનગી સંદેશાઓ પહોંચાડવાનું કામ વિશ્વાસ રાખીને તેમને સોંપતાં હતાં. બહેન-દીકરીઓના વળાવીયા તરીકે પણ તેમની સેવા લેવાતી હતી. જેમનું અસલ વતન એશિયા માઇનોર હોવાનું મનાય છે. આધુનિક પ્રવાહોની અસર છતાં હજુ આ સમાજની રહેણીકરણી તેમજ સમાજ જીવન પર પરંપરાનો ભાવ સચવાયો છે. જેની પ્રતિતી મહિબીજની શ્રદ્ધાસભર ઉજવણીથી થાય છે. મહિસાગર કાંઠે મહાબીજનો આ પાવન અવસર અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્રબિન્દુ બની રહ્યો છે.