ગાંધીનગર, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારંભ તારીખ ૧૮ જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમની શરૂઆતમાં એનસીસી કૅડર દ્વારા રાજ્યપાલને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવશે. કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૧૦માં પદવીદાન સમારંભને ખુલ્લો મૂકવામાં આવશે. કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ દ્વારા જીટીયુનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધિપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન દિક્ષાંત પ્રવચન આપશે. જીટીયુના ૧૦માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના અંદાજે ૧,૦૬, ૫૧૧ જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જેમાંથી ૧૩૨ વિદ્યાર્થીઓને ગૉલ્ડ મેડલ તથા ૫૧ વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવશે. જીટીયુની પરંપરા મુજબ નવીન સાહસને પ્રોત્સાહન આપવા બાબતે શ્રેષ્ઠ સ્ટાર્ટઅપ કર્તાને પણ આ વર્ષે ગૉલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે પદવીદાન સમારંભ યોજવામાં આવશે. જેમાં પી.એચડી અને ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને રૂબરૂમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પદવી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અતિથિ વિશેષ તરીકે અને રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને એનઆઈઆઈટીના કુલાધિપતિ પદ્મવિભૂષણ ડૉ. ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન , મુખ્ય અતિથિ પદે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા, રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે , ટેક્નિકલ શિક્ષણના મુખ્ય સચિવ અંજુ શર્મા તથા જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર હાજર રહેશે.