અમદાવાદ-

ગુજરાત એટીએસની ટીમે 2010માં બાતમી મળી હતી કે, ગુજરાતમાં આંતકવાદ ફેલાવવા માટે એક કાશ્મીરી યુવક ગુજરાતના આણંદમાં આવ્યો છે. જેથી એટીએસની ટીમે આણંદની સામરખા ચોકડી પાસે વોચ ગોઠવીને કાશ્મીરી યુવકનો આંતકવાદના કેસમાં ધરપકડ કરી લીધી હતી. જો કે આણંદ કોર્ટે આ યુવકને નિર્દોષ છોડી મૂક્યો છે. પૂરાવાનો અભાવ હોવાથી કોર્ટે 11 વર્ષ બાદ આતંકવાદના આરોપીમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ય માહિતી અનુસાર, અમદાવાદની એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને 13મી માર્ચ, 2010 રોજ રાત્રિના બાર વાગ્યે આણંદની સામરખા ચોકડી નજીક કશ્મીરી હોટલ પાસેથી બસીરઅહેમદ ઉર્ફે એઝાઝ ગુલામનબી બાવા (રહે.જમ્મુ કાશ્મીર) પોતે આતંકવાદી હોવાની બાતમી મળી હતી. જેના કારણે અમદાવાદ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોર્ડની ટીમ ત્યાં પહોંચીને બસીરઅહેમદ ને ઝડપી પાડયો હતો. પોલીસને માહિતી હતી કે તે આંતકવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીન સાથે સંકળાયેલો છે. 2002માં તોફાનોમાં અસરગ્રસ્ત પીડિત યુવકોને મળીને તેઓને આંતકવાદની તાલીમ માટે પાકિસ્તાન મોકલી રહ્યો છે. તેમણે તેના પર જેહાદી તાલીમ મેળવ્યા બાદ ભારતમાં આંતકવાદી કૃત્યો કરાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાઈ હતી.બાદમાં એફઆરઆઈને એટીએસમાં ટ્રાન્સફર કરાઈ હતી. કેસ આણંદ જિલ્લા કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જ્યાં આરોપીના વકીલે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોના વિશ્લેષણના અંતે આરોપી બસીરએહમદ ગુનાહિત કાવતરૂં રચ્યું હોય તેવી કોઈ હકીકત ન નીકળતા કોર્ટે તેને નિર્દોષ છોડી મૂકયો હતો.