ભુવનેશ્વ-

બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. જે બે દિવસથી મધ્ય ભારતમાં સ્થિર છે. જેના લીધે ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદ કારણે ઓડિશામાં 17 લોકોનાં મોત થયાં હતા અને પૂરના કારણે અંદાજે 10 હજારથી વધુના મકાનોને નુકસાન થયું છે. ઓડિશામાં પૂરના કારણે 20 જિલ્લાઓ 14 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે.

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સના જવાનોએ પૂરગ્રસ્ત પાનગટ, ઠાકુરપુર સહિતના ગામોમાં ફસાયેલા અનેક લોકોને બચાવ્યા છે. બીજી તરફ હિરાકુડ ડેમના 46 દરવાજા ખોલવામાં આવતાં કટક નજીક મહાનદીમાં જળસ્તર વધ્યું છે. જેને પરિણામે નદીકાંઠાના અનેક ગામો અને શહેરોના પાણી ભરાઈ ગયા છે. ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવ કાર્ય માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અધિકારીઓને નિર્દેશો આપ્યો છે. સરકારે રાહત-બચાવ કાર્ય માટે NDRFની 15, ODRAFની 12 અને ફાયર સર્વિસીસની 119 ટીમ નિયુક્ત કરી છે.