વડોદરા, તા.૯

શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોરોનો ત્રાસ નિવારવા માટે પોલિસી બનાવવા માટે તેના અમલીકરણ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રસ્તાવિક નવીન કેટલ પોલિસી માટે માર્ગદર્શિકા ર૦ર૩ અંગે કેટલાક સૂચનો કરાયા છે. આ દરખાસ્તને મંજૂરી બાદ સરકારમાં મોકલાશે.

આ દરખાસ્તમાં જણાવ્યું છે કે, ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ અનુસાર સમગ્ર રાજ્યમાં જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેને અનુલક્ષીને અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં હાલમાં ઉપલબ્ધ પ્રત્યેક ઢોરવાડાઓની ક્ષમતામાં વધારો કરવા અને નવીન ઢોરવાડાનું નિર્માણ કરવા, ઉપરાંત શહેરી વિસ્તારોમાં પશુઓના ત્રાસ અટકાવવા અને તેના નિયંત્રણ માટે પોલિસી ર૦ર૩ બનાવવા બાબતે સૂચિત કરવામાં આવ્યું છે.

અધિક મુખ્ય સચિવ તરફથી સમગ્ર રાજ્યની તમામ મનપાઓ અને નગરપાલિકાઓ વિસ્તારમાં રખડતાં ઢોરોનો ત્રાસ અટકાવવા અને તેના પર નિયંત્રણ મુકવા અંગેના કેસમાં હાઈકોર્ટની સૂચના અનુસાર માર્ગદર્શિકા બનાવવાની વિગતના અનુસંધાને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોલિસી નક્કી કરાઈ છે. આ સંદર્ભે તા.૧૮મી જુલાઈના રોજ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા અમદાવાદ મનપા તરફથી રખડતાં ઢોરોના ત્રાસના નિયંત્રણ અંતર્ગત તૈયાર કરાયેલ પોલિસી અનુસાર તે મુજબની પોલિસી બનાવી સૈદ્ધાંતિક મંજૂરી મેળવી આ બાબતનું અમલીકરણ કરવું તે મુજબ નક્કી કરીને અભિપ્રાય મંગાવવા અંતર્ગત રાજ્ય સરકાર તરફથી તૈયાર કરાઈ છે.

આમ, શહેરી વિસ્તારમાં ઢોરોનો ત્રાસ અટકાવવા અને તેના નિયંત્રણ માટે સ્થાયી સમિતિ મારફત સામાન્ય સભામાં રજૂ કરી જે કોઈ સુધારાવધારા સહ સૂચનો અંગે નિયમોનુસાર કાર્યવાહી કરી, ત્યાર બાદ સરકારમાં આગળની કાર્યવાહી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તા સુપરત કરવા ભલામણ કરાઈ છે.

અકસ્માત થાય તો પશુમાલિક પાસે વળતર વસૂલવા સૂચન

નવીન કેટલ પોલિસી માટે માર્ગદર્શિકા ૨૦૨૩ અંતર્ગત વડોદરા કોર્પોેરેશને મહત્ત્વના સૂચન કર્યાં છે. જેમાં પશુઓને રખડતાં છોડાય તો દંડનીય કાર્યવાહી સાથે બિનજામીનપાત્ર ગુનો ગણવા, સાથે પશુના કારણે અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થાય તો પશુમાલિકોના ઢોરવાડાના ડ્રેનેજ-પાણી કનેકશન કાપવા, પશુમાલિકા પાસે તમામ વળતરની જાેગવાઈ કરવા તેમજ આવા અકસ્માતના કિસ્સામાં કોઈનું મોત થાય તો ઢોરવાડો કાયમી ધોરણે બંધ કરવાની સાથે કોર્પોરેશન અને પોલીસ વિભાગ કે રાજ્ય સરકાર દ્વારા મહત્તમ પાંચ લાખનું વળતર પશુમાલિક પાસે રિમેમ્બર્સમેન્ટ કરવાની જાેગવાઈ કરવા સૂચન કર્યું છે. ઉપરાંત ઢોરને લગાડેલ ટેગ તોડવા કે દૂર કરવાને સરકારી પુરાવા નાશ કરવાનો ગુનો તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ગણવા સહિત વિવિધ સૂચનો કર્યાં છે.