અમદાવાદ

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની અપ્રમાણસર મિલકતો બહાર આવી રહી છે. ત્યારે વધુ એક ક્લાસ વર્ગ-૩ના અધિકારીની કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આણંદમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના વર્ગ-૩ના ફિલ્ડ આસિસ્ટન્ટ ધીરુભાઈ શર્માની ૮ કરોડ ૪ લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં ત્રણ વર્ષમાં ૧ કરોડ ૧૮ લાખ રોકડ રકમ તેમજ જુદા જુદા બેંક એકાઉન્ટમાં જમા તેમજ રોકડ રકમની સ્થાવર મિલકત ખરીદી અને ખર્ચ ૧.૧૦ કરોડ ખર્ચ મળી આવ્યો છે.ખેડામાં કરોડો રૂપિયાની કિંમતનો જલાશ્રય રિસોર્ટ અને લક્ઝુરિયસ કાર મળી આવી છે. જો કે આરોપી ધીરુ શર્માએ ખેડા, નડિયાદમાં અલગ અલગ મિલકતો પોતાના કૌટુંબિકના નામે લીધી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં હજી પણ કેટલીક મિલકત છે જે મામલે એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી દીધી છે. પહેલી નજરે કરોડોની મિલકત અને તેના ખર્ચા જોઈ એસીબી પણ ચોંકી ગઈ હતી. જમીન વિકાસ નિગમના ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલકત વસાવનાર ૧૪ જેટલા અધિકારીઓ એસીબીના સકંજામાં આવી ચુક્યા છે. જોકે, જમીન વિકાસ નિગમના અનેક અધિકારીઓ ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા છે. જેમાં ત્રણ વર્ષમાં ૫૬ જેટલા કેસ કરીને કલાસ વર્ગ-૧ અધિકારીઓથી લઈ વચેટીયાઓ સહિત ૨૮૫ લોકો ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમીન વિકાસ નિગમ યોજના નામે સરકારી અધિકારીઓ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર આચરી અને કરોડો રૂપિયા મિલકત બનાવી રહ્યા છે. જેમની સામે એસીબી લાલઆંખ કરી અનેક કેસો કરી રહ્યા છે. એ સી બી ડાયરેકટર આ મામલે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડ ના અધિકારી ઓ દ્વારા અપ્રમાણસર મિલકત વસાવવા બદલ કુલ ૧૪ ગુના દાખલ થયા છે. જેમાં વર્ગ ૧ ના ૨, વર્ગ ૨ ના ૫, અને વર્ગ ૩ ના ૭ એમ કુલ ૧૪ આરોપી ઓ વિરુદ્ધ માં ૩૫ કરોડ ૯૮ લાખની અપ્રમાણસર મિલકત ના ગુના દાખલ થયા છે. જ્યારે સતાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરનાર સામે ૫૬ કેસ દાખલ કરીને, આરોપી ૨૮૫ ધરપકડ કરી છે. જેમાં વર્ગ ૧ - ૩ અધિકારી, વર્ગ ૨ - ૬૪ અધિકારી, વર્ગ ૩ - ૯૨ અધિકારી ખાનગી ૧૨૬ લોકો મળી ૨૮૫ ધરપકડ કરી છે.