જામનગર-
અન્ય જિલ્લાઓની માફક જામનગર જિલ્લાની 307 હાઇસ્કુલોમાં ધોરણ 9-11ના વર્ગો ચાલુ થતા હોવાથી માર્ચ માસ બાદ નવા ધરોણમાં આવેલા હજારો વિદ્યાર્થીઓના આગમનથી શાળા પરિસરો ફરી જીવંત થશે. વર્ગો શરૂ કરવા માટે સરકારની અગાઉની ગાઇડલાઇન મુજબ વાલીઓના સંમતિપત્રો અને શાળાઓએ વ્યવસ્થા કરવાની રહેશે. કોવિડના કારણે રાજયની માફક જામનગર જિલ્લાની હાઇસ્કુલો માર્ચ માસથી બંધ થઇ હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું હતું. જયારે ધોરણ 10માં નોંધાયેલા 16012 વિદ્યાર્થીઓમાંથી 15822 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 9148 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેનો ધોરણ 11માં પ્રવેશ થયો હતો. આ તમામ વિદ્યાર્થીઓ માટે 11 મહિને શાળાઓ ખુલી રહી છે. આમ તા.1 ફેબ્રુઆરીથી હાઇસ્કુલો પૂર્ણ રીતે ચાલુ થઇ જશે. જામનગર જિલ્લામાં 38 સરકારી, 109 ગ્રાન્ટેડ અને 160 ખાનગી શાળાઓ છે. જેમાં ધોરણ 9-11માં 25 હજાર જેટલા વિદ્યાર્થીઓ આગામી સોમવારે તા.1 ફેબ્રુઆરીથી શાળામાં પ્રવેશ કરશે. જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા જણાવે છે કે, ધોરણ 10-12ના વર્ગો શરૂ કરવા વખતે સરકારે જે સ્ટાન્ડર્ડ ઓપરેટીવ પ્રોસીજર જાહેર કરેલી તે મુજબ વાલીઓના સંમતિપત્રો લેવાશે અને શાળાઓએ સરકારની ગાઇડલાઇન મુજબ સેનીટાઇઝર, થર્મલગનથી વિદ્યાર્થીઓની ચકાસણી બાદ પ્રવેશ આપવાની પ્રક્રિયા અપનાવવાની રહેશે. શાળાઓને સરકારે કોવિડની ગાઇડલાઇન માટે અગાઉથી જ એસઓપી આપી દીધી છે. જેને શાળાએ હાલ અનુસરી રહી છે. માત્ર ધોરણ 9-11ના વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા લાગુ થશે.
Loading ...