ગાંધીનગર-

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા જીટીયુના અધ્યાપક ડૉ. કૌશલ ભટ્ટ અને તુષાર પંચાલની ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરી છે. જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠ અને કુલ સચિવ ડૉ. કે. એન. ખેરે બન્ને અધ્યાપકોની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતાં. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલાયના ઈનોવેશન સેલ દ્વારા દેશની તમામ ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી અધ્યાપકોની અરજી મંગાવવામાં આવી હતી.

જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટના બંને અધ્યાપકોએ ૧૦૦ કલાકની ટ્રેનિંગ અને ત્યારબાદ પરીક્ષામાં ઉર્તિણ થઈને ઈનોવેશન એમ્બેસેડર તરીકે નિયુક્તિ પામ્યા છે. આગામી સમયમાં તેઓ રાજ્યમાં ઈનોવેશન, ડિઝાઈન થિકિંગ, એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને ઈનોવેશન સંબધીત સરકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરશે. રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ટેક્નિકલ શિક્ષણમાં સમગ્ર દેશમાં અગ્રગણ્ય હરોળમાં સ્થાન ધરાવે છે. દરેક પ્રકારના ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે જીટીયુ હંમેશા કાર્યરત હોય છે. આર્ત્મનિભર ભારત અભિયાનના પાયાના એકમ એવા ઈનોવેશન અને સ્ટાર્ટઅપમાં પણ જીટીયુ દ્વારા વિશેષ પ્રમાણમાં કાર્ય કરવામાં આવે છે.