ગાંધીનગર-

શિક્ષણમાં ખાનગીકરણને રાજ્ય સરકારે કેવો છૂટો દોર આપ્યો છે તે વિધાનસભામાં વિપક્ષે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારની કબૂલાતમાં આજે સ્પષ્ટ થયું છે. વપિક્ષના સવાલના જવાબમાં સરકારે આપેલ જવાબમાં કહ્યું છે કે, છેલ્લા ૨ વર્ષમાં રાજ્યની ૧૨૩ પ્રાથમિક શાળાઓને સરકારે બંધ કરી છે.

તો તેની સામે ૧૧૫૭ ખાનગી પ્રાથમિક શાળાઓને સરકારે મંજૂરી આપી છે આમ જાેવા જઈએ તો જેટલી સરકારી શાળા બંધ કરી તેનાં કરતાં ૮-૯ ગણી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

એટલું જ નહીં જે નવી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવાની સાથે સાથે જે ખાનગી પ્રાથમિક શાળા ચાલી રહી છે તેમાં વર્ઘ વધારાની પણ મંજૂરી આપવામાં આવી છે. જે અનુસાર ૨૮૧૬ એવી ખાનગી શાળા છે જેને વર્ગ વધારાની મંજૂરી અપાઈ છે.

આ સિવાય રાજ્યમાં ૨૪૬ નવી ખાનગી હાઈસ્કૂલોને પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે જ જે ખાનગી હાઈસ્કૂલો હાલમાં ચાલે છે તેમાંથી ૬૯ ખાનગી હાઈસ્કૂલોમાં વર્ઘ વધારાને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકાર દ્વારા આપવામાં આવેલા આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે, છેલ્લા કેટલાક વર્ષમાં સરકારે શિક્ષણનું કઈ હદ સુધી અને કેટલી ઝડપથી ખાનગીકરણ કર્યું છે.