અમદાવાદ-

ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા 9થી 12માં પ્રથમ અને 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે. સ્કૂલોએ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દેવામાં આવ્યો છે. જ્યારે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર મુજબ પરીક્ષા લેવાની રહેશે. જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે બીજા સત્રની પરીક્ષા લેવામાં આવશે નહીં. આ વર્ષે બીજા સત્રની પરીક્ષા ન લેવાથી માત્ર પ્રથમ સત્રના પરીક્ષાના પરિણામમાંથી આંતરિક મુલ્યાંકન્નના ગુણ સ્કૂલો દ્વારા મુકવાના રહેશે. ત્યારે વિદ્યાર્થીઓને પણ કોરોના કાળમાં અભ્યાસક્રમ વધારે ભણાવ્યો ન હોવાથી 30 ટકા રાહત આપવામા આવી છે. જ્યારે સરકાર દ્વારા ઉનાળુ વેકેશન અને નવા સત્રની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ત્યારે 15જૂન સુધી વાર્ષિક પરીક્ષા પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને રજા તો આપવામાં આવશે પરંતુ કેટલી રજા મળશે ક્યારથી આપવામાં આવશે અને નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ક્યારથી કરવી તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.