અમદાવાદ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી- ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેઓ હાલમાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૦માં જ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા નરહરિ અમીને ટ્‌વીટ કરીને માહિતી આપી હતી કે, ‘કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મેં ટેસ્ટ કરાવ્યો હતો અને મારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારૂં સ્વાસ્થ્ય સારૂં છે. પરંતુ ડોક્ટરોની સલાહને આધારે યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થયો છું. છેલ્લા કેટલાક દિવસોથી જે પણ વ્યક્તિ મારા સંપર્કમાં આવી છે તેઓ આઇસોલેટ થઇને પોતાની તપાસ કરાવે તેવો અનુરોધ છે. ઉલ્લેખનીય છે કે, નરહરિ અમીન ગુજરાતમાંથી રાજ્યસભાના ચોથા એવા સાંસદ છે જેઓ કોરોના સંક્રમિત થયા છે. અગાઉ અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, અભય ભારદ્વાજ પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. આ પૈકી અભય ભારદ્વાજ-નરહરિ અમીન-શક્તિસિંહ ગોહિલ જૂન ૨૦૨૦માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા-ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ એહમદ પટેલનું સ્વાસ્થ્ય કથળતાં તેમને નવી દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર એહમદ પટેલ શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને શનિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.