વડોદરા, તા.૬

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ ખાસવાડી સ્મશાનગૃહની ઓગસ્ટ મહિનાથી ૧૫.૫૦ કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંદાજે દોઢ વર્ષ ચાલશે. જેના કારણે સ્મશાન ગૃહમાં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી ચિતાની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, પરિણામે સ્મશાને અંતિમવિધિ માટે આવતા લોકોને તકલીફ પડી રહી છે, અને કેટલીક વખત વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે. જાેકે, પાલિકા તંત્ર દ્વારા અન્ય સ્મશાનગૃહોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

હાલ નવા સ્મશાન ગૃહની કામગીરી ચાલતી હોવાથી ચિતાની સંખ્યા ઓછી થઈ છે. બીજી બાજુ લોકોએ પણ આ સ્થિતિમાં ખોટી હેરાનગતિ ભોગવી ન પડે તે માટે કારેલીબાગ સ્મશાને આવવાનો આગ્રહ રાખવાના બદલે શહેરના જે બીજા સ્મશાન ગૃહો છે, ત્યાં અંતિમ વિધિ માટે જવું જાેઈએ. શહેરમાં ખાસવાડી આ સિવાય વડી વાડી, રામનાથ, હરણી, દંતેશ્વર, તરસાલી, માંજલપુર, ગોરવા, ગોત્રી, વાસણા વગેરે સ્થળે સ્મશાન ગૃહો આવેલા છે ત્યાં અંતિમવિધિ માટે જઈ સકાય છે. જે તે સમયે કારેલીબાગ સ્મશાન ગૃહની કામગીરી શરૂ કરાઈ ત્યારે કોર્પોરેશન દ્વારા લોકોને વૈકલ્પિક સ્મશાન ગૃહોનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો હતો.

આજે કારેલીબાગ સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ માટે આવેલા કેટલાક લોકો હેરાન થયા હતા. તેમણે કહ્યું હતું કે અહીં પાછળ ખુલ્લી જગ્યા છે અને ત્યાં અંતિમવિધિ માટે કામ ચલાઉ ધોરણે ચિતા વધારી શકાય તેમ છે, કારણ કે હાલ અહીં છ ચિતા જ કાર્યરત છે. ઉલ્લેખનિય છે કે, આધુનિક તમામ સુવીઘા સાથે બની રહેલા કારેલીબાગ સ્મશાનના રીનોવેશન બાદ અહીં આકર્ષક ગેટ, લેન્ડસ્કેપ ગાર્ડન સહિત સાથે ૧૨ લાકડાની અને બે ગેસ ચિતા બનશે.