વડોદરા : હાથીખાના અનાજ બજાર નજીક આવેલા રોશનનગરમાં ગઈકાલે રાત્રે કરફયૂના સમયે અંગત અદાવતે એક જ કોમના જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી થયા બાદ મામલો ઉગ્ર બનતાં સામ-સામે મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો હતો. એકાએક બનેલા આ બનાવથી વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જાે કે પોલીસે ઘટનાસ્થળે પહોચીને મામલો થાળે પાડયો હતો. કારેલીબાગ પોલીસે બંને પક્ષોની સામ-સામી ફરિયાદના આધારે ૧૨ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાથીખાના અનાજ બજાર નજીક આવેલા રોશનનગરમાં મંગળવારે રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ સાહિલ થાકેલા અને શોયેબ હડીના અગાઉના ઝઘડાની અદાવતે એક જ કોમની બે વ્યક્તિઓ વચ્ચે ચકમક સર્જાતાં મામલો ઉગ્ર બન્યો હતો. એકાએક બનેલા બનાવથી બંને જૂથના લોકો સામે-સામે આવી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી થવા પામી હતી. આ દરમિયાન બંને પક્ષોની મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો હતો. રાત્રિના કરફયૂ ટાણે બનેલા બનાવની જાણ પોલીસને થતાં તુરત જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી મામલો થાળે પડ્યો હતો અને બંને જૂથના લોકોને વિખેરી આ મામલે બંને પક્ષોની સામ-સામી ફરિયાદો નોંધી ૧૨ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમા મહંમદ હુસેન ઉર્ફે કાલુ હર્ષિત મિર્ઝા, શાહનવાજ સુન્ની, અજાણી વ્યક્તિ, ઈરફાન મલેક, સાહિલ થકેલા, શોએબ હડી, શાહરૂખ શેખ, ઇફતેખાન પઠાણ, શકીલ પઠાણ, અકીલ પઠાણ, ફેજાન શેખ અને ઈકબાલ માંજરાની ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હતા.