ગાંધીનગર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વહીવટી તંત્રને પૂરક બની કોરોનાકાળમાં જનસેવા કરવા સક્ષમ છે. ઓક્સિજન ઉત્પાદન, સિલિન્ડરના રિફિલિંગ અને વિતરણ વધારવામાં પણ જીસીસીઆઈની ભૂમિકા મહત્વની છે અને તે માટે રાજ્ય સરકાર લોજિસ્ટિક સપોર્ટ આપવા તૈયાર છે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ સૂચન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ-જીસીસીઆઈ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન-આઈએમએ સાથે જાેડાઇ રાજ્યના વરિષ્ઠ અને અનુભવી તબીબને સાથે લઇ ટેલિ-મેડિસિન અને ટેલિ-કાઉન્સેલિંગની વ્યવસ્થા ઊભી કરે જેથી લોકો માટે ઘરે બેઠા તબીબી સલાહ અને માર્ગદર્શનની એક પૂરક વ્યવસ્થા ઊભી કરી શકાય છે. મુખ્યમંત્રીએ જાણાવ્યું હતું કે, અત્યાર સુધીના જીસીસીઆઈના સહકારથી રાજ્ય સરકારનો ઉત્સાહ વધ્યો છે. આપણે ડરવું નથી પણ લડવું છે અને આ મહામારી સામે ગુજરાતને બચાવવું છે. ગુજરાતના વેપારી મહાજનો આ વ્યથાને પડકારી વ્યવસ્થા ઊભી કરવાના અભિગમવાળા છે ત્યારે આપણે સૌએ પડકારને બરાબર સમજી તેને પહોંચી વળવા પ્રયત્ન કરતા રહેવાનું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ જિલ્લાઓમાં મહાજન મંડળોએ સ્વૈચ્છિક બંધ અને આંશિક લોક્ડાઉનની જે પહેલ કરી છે, તે આવકારદાયક છે. લોકો રોજગારી ન ગુમાવે અને અર્થવ્યવસ્થા ચાલતી રહે તે રીતે ‘જાન ભી જહાન ભી ના’ મંત્ર સાથે રણનિતી ઘડાય તે આવશ્યક છે. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વિસનગર,ગાંધીધામ અને પાલનપુરના સહિત ૧૧થી વધુ જિલ્લાના જીસીસીઆઈના પ્રમુખ અને હોદ્દેદારોના સૂચનોને સાંભળી તે અંગે વિચાર-વિમર્શ કર્યા હતા. આ બેઠકમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ સરકારને તમામ ર્નિણયોમાં સાથે રહીને સંપૂર્ણ સહકાર આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.