દિલ્હી-

પીએમ મોદી 9 માર્ચે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા દ્વિપક્ષીય અને મૈત્રીપૂર્ણ સંબંધોના પ્રતીક ‘મૈત્રી સેતુ’ નું ઉદઘાટન કરશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રિપુરામાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. પીએમ સબરૂમમાં એકીકૃત ચેકપોસ્ટની સ્થાપના માટે શિલાન્યાસ પણ કરશે. આનાથી બંને દેશો વચ્ચે સામાન અને મુસાફરોની અવરજવર સરળ થશે પૂર્વોત્તર રાજ્યોના ઉત્પાદનો માટે બજારની નવી તકો મળશે અને ભારત અને બાંગ્લાદેશના મુસાફરોને અવર જવરમાં સરળતા રહેશે.આશરે 232 કરોડ રૂપિયાના ખર્ચે ભારતના લેન્ડ પોર્ટ ઓથોરિટી દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.

પીએમ મોદી કૈલાશહેરમાં ઉનાકોટી જિલ્લા મુખ્ય મથકને ખોવાઈ જિલ્લા મુખ્યાલયથી જોડતા એચએચ -208 નો શિલાન્યાસ પણ કરશે. આ નેશનલ હાઇવે 44 નો વૈકલ્પિક માર્ગ પ્રદાન કરશે. નેશનલ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે રૂ. 1078 કરોડના ખર્ચે 80 કિ.મી. લાંબા એન.એચ. 208 પ્રોજેક્ટનું નિર્માણ હાથ ધર્યું છે. આ ઉપરાંત રાજ્યના રાજમાર્ગો અને સરકાર દ્વારા વિકસિત અન્ય જિલ્લા રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં નાણાકીય ખર્ચ 63.7575 કરોડ થશે. જે ત્રિપુરાના લોકોને ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) અંતર્ગત રૂ. 813 કરોડના ખર્ચે 40978 મકાનોનું ઉદઘાટન કરવામાં આવશે. આ સાથે વડા પ્રધાન અગરતલા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નિર્માણ થયેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન પણ કરશે.