મુંબઈ-

પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' ની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. તેવામાં ગુરુવારે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝની તારીખની જાહેરાત કરી. પ્રભાસની આ મેગા બજેટ ફિલ્મ વર્ષ 2022 માં રિલીઝ થશે. અભિનેતા પ્રભાસે આ માહિતી પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી આપી છે.

પ્રભાસે જણાવ્યું કે, આદિપુરુષ 11-8-2022 એટલે કે 11 ઓગસ્ટ 2022 ના રોજ મોટી સ્ક્રીન પર દર્શકોની સામે હશે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે અને તેના માટે ઘણા મોટા સ્ટાર્સને સાઇન કરવામાં આવ્યા છે. પ્રભાસ ફિલ્મમાં સૈફ અલી ખાનના નામની પુષ્ટિ થઈ છે પરંતુ હજુ સુધી ફિલ્મની હિરોઇનને લઈને કોઈ નામ નક્કી કરવામાં આવ્યું નથી. 

ફિલ્મની સ્ટારકાસ્ટ ખૂબ જ જોરદાર છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ભગવાન રામ માટે સાઉથના સુપરસ્ટાર પ્રભાસને ફાઇનલ કરવામાં આવ્યા છે, જ્યારે સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. સૈફ અલી ખાને ફિલ્મ 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર'માં પોતાના પાત્રથી દર્શકોનું દિલ જીત્યું હતું. તેથી જ નિર્માતાઓ તેને રાવણના રોલમાં જોવા માંગતા હતા. ફિલ્મમાં સીતાના રોલ માટે અનુષ્કા શર્મા, ક્રિતી સેનન, કિયારા અડવાણીના નામોની ચર્ચા છે. પરંતુ ફિલ્મના મેકર્સ તરફથી કોઈ નામની પુષ્ટિ કરવામાં આવી નથી. 

પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ' એક મેગા બજેટ ફિલ્મ છે. ઓમ રાઉત આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. ઉપરાંત ટી સીરીઝના ભૂષણ કુમાર પણ આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મનું બજેટ 350 કરોડથી 400 કરોડની વચ્ચે રહેશે. આ ફિલ્મ હિન્દી સહિત 5 અન્ય ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.