ગાંધીનગર

કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે. અત્યાર સુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા.

હવે મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડી હતી. અને, મંત્રી તાત્કાલિક પોતાના નિવાસ સ્થાન ખાતે ગયાં હતાં. અત્યાર સુધીમા એક મંત્રી સહિત કુલ 180માંથી 12 ધારાસભ્યો માત્ર 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા છે. આજે સા.ન્યાય અધિકારિતા મંત્રી ક્વોરન્ટાઇન પૂરો કરીને ગૃહમાં આવ્યા છે.

બે વર્ષ પહેલા મહેસૂલમંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત વધુ લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.

તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. અગાઉ 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા હતાં, હાલ ચાલી રહેલા બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ કોરોના સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે. જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

સંક્રમિત થયેલા સભ્યો

1. ઇશ્વરસિહ પટેલ (મંત્રી)

2. બાબુભાઈ પટેલ

3. શૈલેશ મહેતા

4. મોહનસિંહ ઢોડિયા

5. પુંજાભાઈ વંશ

6. નૌશાદ સોલંકી

7. ભીખાભાઈ બારૈયા

8. વિજય પટેલ

9. ભરતજી ઠાકોર

કોરોનાવાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.