દિલ્હી-

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. જ્યારે કોરોના રસીકરણ અભિયાનને બીજા તબક્કામાં ગતિ પકડી છે. રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે રસીકરણના ૫૫માં દિવસ સુધી દેશમાં ૨.૫૬ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩.૧૭ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. સાથે જ અત્યાર સુધી ૭૦ હજારથી વધુ રેલકર્મીઓને પણ રસી આપવામાં આવી છે.

સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, અત્યાર સુધી કુલ બે કરોડ ૫૬ લાખ ૮૫ હજાર ૧૧ ડોઝ આપવામાં આવી ચૂક્યાં છે. બુધવાર સાંજે સુધીમાં ૭૧,૭૦,૫૧૯ સ્વાસ્થ્યકર્મી, ૭૦,૩૧,૧૪૭ ફ્રન્ટલાઇન વર્કર્સ, ૬૦ વર્ષથી વધુની વયના ૫૫,૯૯,૧૪૩ લોકો અને ૪૫ વર્ષથી વધુ વય અને ગંભીર બીમારી ધરાવતાં ૯,૨૯,૩૫૯ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે ૩૯,૭૭,૪૦૭ સ્વાસ્થ્યકર્મી અને ૫,૮૨,૧૧૮ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. ૭,૨૫,૯૩૦ લોકોને રસીનો પહેલો ડોઝ અને ૧,૯૬,૧૦૯ સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ લેનારાઓમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૪,૯૫,૦૨૬ લોકો અને ગંભીર બીમારીઓ ધરાવતાં ૪૫ વર્ષથી વધુ ઉંમરના ૯૫,૮૩૪ લોકો સામેલ હતાં.