અમદાવાદ, અમદાવાદ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લૂંટારુઓએ લાખ્ખો રૂપિયાની ધાડને અંજામ આપ્યો હતો. જાે કે પોલીસને જાણ કરતા જ પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી ને ઝડપી પાડ્યા છે અને મુખ્ય આરોપી બીજું કોઈ નહીં પરંતુ કંપનીનો જ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો છે. અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેક્ટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ ૪૪ લાખ ૫૦ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી દીધા છે. પોલીસે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ધાડનું ષડ્યંત્ર રચનાર બીજું કોઈ નહીં પણ ચાંગોદરમા આવેલ કંપનીમાં કામ કરતો સિક્યુરિટી ગાર્ડ હતો. સિક્યુરિટી ગાર્ડે ૭ તારીખે પગાર માટે રૂપિયા લઈને એક કંપનીથી બહાર માણસ જતો હોવાની બાતમી આપી હતી. પાન મસાલાની ફેક્ટરીમાં કામ કરતા સંદીપ બલીરામ યાદવ રાત્રે આઠ વાગે મજૂરો ચૂકવવાના પૈસા લઈને સનોજ કુમાર નામના કર્મચારી સાથે નિકળ્યો હતો. 

બંન્ને બાઈક પર બેસી ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થતા હતા. તે સમયે તેની જ કંપનીમાં સિક્યુરિટીમાં કામ કરતા બાબુ ભાઈએ તેમના ભાઈ હરદેવને જાણ કરી હતી જેથી હરદેવે તેના સાથે અન્ય ચાર લૂંટારુઓ સનોજના માથાના ભાગે છરી મારીને સંદિપ પાસેના થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જે થેલામાં ૪૪ લાખ ૫૦ હજારની રોકડ રકમ ભરેલી હતી. આ ઘટના અંગે સંદિપે ચાંગોદર પોલીસને જાણ કરતાં પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.