ગાંધીનગર-

ગુજરાતના વાલીઓમાં બાળકોને નાની ઉંમરથી જ શાળામાં મોકલવાનો ક્રેઝ ઘણાં વર્ષોથી જોવા મળી રહ્યો છે. બાળક હજુ તો બોલતાં શિખ્યું હોય ત્યાં જ તેને શાળામાં મોકલવાનો નિર્ણય વાલીઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આમ છતાં બાળકોના અભ્યાસનો પાયો કાચો રહી જાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકોના હિતમાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષ દરમિયાન હવે જે બાળકની ઉંમર પાંચ વર્ષથી વધુ હશે તેવા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગના નવા પરિપત્ર પ્રમાણે પાંચ વર્ષથી નાના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, અમુક વાલીઓ બાળકની ઉંમર ચાર વર્ષની હોય ત્યારે જ તેને ધોરણ 1માં પ્રવેશ કરાવી દેતા હોય છે. પરંતુ હવે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ જે બાળકની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ થઈ હશે તેને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર દ્વારા વાલીઓને મહત્વની માહિતી આપવામાં આવી છે. અમુક વાલીઓ દ્વારા ત્રણ વર્ષથી જ બાળકોને સિનિયર અને જુનિયર કે.જી.માં દાખલ કરવામાં આવતા હોય છે. પરંતુ પાંચ વર્ષ પૂર્ણ થતા ન હોવાના કારણે તેઓ ધોરણ-1માં બાળકને પ્રવેશ અપાવી શકતા નથી. ત્યારે હવે વાલીઓએ જ બાળકના વર્ષની ગણતરી કર્યા બાદ જ સિનિયર અને જુનિયર કે.જી.માં મૂક્યા બાદ પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તો જ ધોરણ 1માં પ્રવેશ મળે તેવા ગણતરીથી જ સિનિયર અને જુનિયર કે.જી.માં પ્રવેશ કરાવવાનો રહેશે.