ન્યૂ દિલ્હી

આઈપીએલ ૧૪ મી સિઝનનો બીજો તબક્કો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં થઈ શકે છે. દિલ્હી અને અમદાવાદ તબક્કા દરમિયાન બાયો બબલમાં ખરાબીને કારણે ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા હતા. તેમજ તેને કારણે આઈપીએલની ૧૪ મી સિઝન મુલતવી રાખવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં હજી ૩૧ મેચ બાકી છે. અહેવાલ મુજબ બીસીસીઆઈ હવે યુએઈમાં ટૂર્નામેન્ટની બાકીની મેચનું આયોજન કરવા માંગે છે. વર્ષ ૨૦૨૦માં પણ ટૂર્નામેન્ટની ૧૩મી સિઝન યુએઈમાં જ યોજાઇ હતી અને તે ખૂબ સફળ રહી હતી.ભારતીય ટીમ ૨ જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની સીરીઝ માટે ઇંગ્લેન્ડ પહોંચી રહી છે. ભારતે જૂન મહિનામાં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને તે પછી ટેસ્ટ સીરીઝ રમવામાં આવશે.

ઇંગ્લેન્ડ સાથે યોજાનારી શ્રેણીની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે ૯ દિવસનો ગેપ છે. બીસીસીઆઈ ઇચ્છે છે કે, આ અંતરને ચાર અથવા તો પાંચ દિવસ સુધી કરવામાં આવે. જેથી આઈપીએલ નું આયોજન કરવામાં ચાર-પાંચ દિવસનો સમય મળે. એક અખબારના જણાવ્યા પ્રમાણે, જો આ પ્રમાણે ન થયું તો પણ બીસીસીઆઈ પાસે ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબરની વચ્ચે એક મહિનાની વિંડો હશે અને આ સમય દરમિયાન આઈપીએલ સરળતાથી ગોઠવી શકાશે.

બીસીસીઆઈ ૨૯ મે એ કરી શકે છે આઈપીએલ ૧૪ના બીજા તબક્કાની ઘોષણા

બીસીસીઆઈ ૨૯ મી મેએ આઈપીએલની ૧૪ મી આવૃત્તિના બીજા તબક્કાના સંબંધમાં જરૂરી ઘોષણા કરી શકે છે. આ દિવસે તેમની સ્પેશિયલ જનરલ મીટિંગ થવાની છે.

બીસીસીઆઈ યોજશે સ્પેશિયલ જનરલ મીટિંગ

બીસીસીઆઈ એ અનધિકૃત રીતે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને આગામી પાંચ મેચની ટેસ્ટ સીરીઝના દિવસોને ઘટાડવા વિનંતી કરી હતી. આ સીરીઝ ૪૧ દિવસમાં સમાપ્ત થઈ રહી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડએ આ સંદર્ભમાં કોઈ પુષ્ટિ કરેલી માહિતી આપી નથી. આ અંગે તેનો શું વલણ છે, તે સ્પેશિયલ જનરલ મીટિંગમાં પણ જાહેર કરી શકાય છે.