આણંદ : ઓક્ટોબરની મધ્યમાં પહોંચી ગયાં છીએ, મચ્છરોનો ઉપદ્રવ શરૂ થઈ ગયો છે, હવે સંભાળોજાે. કોરાના સાથે હવે મેલેરિયા - ડેન્ગ્યૂથી બચવા સાવચેતી રાખવી પડશે. નહીંતર તહેવારોની સીઝન બગડી જશે. 

તંદુરસ્ત હોવું એ જીવનનું સૌથી મોટું સુખ છે. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું આમ તો બહુ સરળ છે, તેમ છતાં પણ બધા તંદુરસ્ત કેમ નથી રહી શકતા? કારણ સાવ સરળ છે. જેઓ સ્વચ્છતા અને આહારમાં બેદરકાર છે તેઓ બીમારીને આમંત્રણ આપે છે.

સ્વચ્છતા શબ્દ જેટલો પવિત્ર છે એટલો જ મહાન છે. માનવ જીવનના પ્રારંભથી સ્વચ્છતાનો મહિમા કરવામાં આવે છે. સુખનું બીજંુ નામ સ્વચ્છતા છે. વિકાસના આ જેટ યુગમાં દુનિયા માણસની મુઠ્ઠીમાં જ છે. ઇન્ટરનેટ અને વિવિધ ટેકનોલોજીના વિકાસથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણે ગાયબ થઇ ગયું છે. સમગ્ર વિશ્વ હવે એક વિશ્વગ્રામ બન્યું છે. વિકાસના આ યુગમાં આપણે સ્વચ્છતાના આગ્રહી કેમ બનતા નથી? યાદ રહે કે જ્યાં સુધી ગંદકી છે ત્યાં સુધી આપણે અને આપણાં પરિવારજનો દવાખાના, લેબોરેટરીની લાઇનોમાં જ રહેવાના છે. આપણે પાણીનો બેફામ અને બેદરકારીભર્યો ઉપયોગ કરીને મચ્છરોની જાણે ફેકટરીઓ ઊભી કરી રહ્યાં છે, જેનાં કારણે મચ્છોરો પેદા થાય છે અને આ મચ્છરોથી મેલેરિયા, ડેન્ગ્યૂ જેવી ભયંકર બીમારી થાય તેની ખબર છે, પણ આપણે તેની ગંભીરતા નથી સમજતાં.

જ્યાં પાણીનો ભરાવો થાય છે ત્યાં મચ્છર અવશ્ય પેદા થાય છે. આપણાં ઘર કે આજુબાજુમાં પાણી ન ભરાય તેની કાળજી લઇએ. ઘરના ધાબા ઉપર કે બહારની કોઇ જગ્યાએ પાણી ભરાયેલું હોય તે મચ્છરની ઉત્પત્તિનું કેન્દ્ર છે. વધારે પાણી ભરાયેલંુ હોય ત્યાં પાણી ઉપર કેરોસીન કે ઓઇલ નાખીને પણ મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય છે. આપણાંથી ક્યાંય ગંદકી ન થાય તેની કાળજી રાખવી બહુ જરૂરી છે. આપણાં ગામ કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સરકારની સાથે આપણી પણ છે જ. મેલેરિયા અને ડેન્ગ્યૂથી બચવા સ્વચ્છતા જ આખરી ઇલાજ છે.

જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા નિયંત્રણ માટે એક્શન પ્લાન બનાવાયો છે. તેની સાથોસાથ આરોગ્ય વિભાગના કર્મચારીઓ વ્યાપક લોકસંપર્ક કરીને મચ્છરોને અટકાવવા વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. તાવ આવે ત્યારે બ્લડ ટેસ્ટ જરૂર કરાવીએ. મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ પણ કરીએ. ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દઇએ. ડેન્ગ્યૂ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા જ ફેલાય છે. આ મચ્છરો દિવસે જ કરડે છે. લાંબી બાયના કપડાં પહેરીએ. મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવીએ. ઘરમાં પાણીના વાસણો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ. તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફુલદાની વગેરે અઠવાડિયામાં એક વખત સાફ કરીએ.

નાના બાળકો અને ઉંમરલાયક વડીલોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જલદી બીમાર થઇ જાય છે. આપણાં વ્હાલસોયા બાળકો અને સન્માનીય વડીલોને મચ્છરોના ઉપદ્રવથી બચાવવાની કાળજી રાખીએ. આપણે સ્વચ્છતાના આગ્રહી નહીં બનીએ, તે હવે ચાલે તેમ નથી. અત્યારે કોરોનાના સમયમાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં સ્વચ્છતાનો સરસ બદલાવ આવી રહ્યો છે. એમાં આપણે પણ પાછળ ન રહીએ અને સ્વયચ્છમાં સહયોગ આપી મેલેરિયા, ડેન્ગ્યૂ, કોરોના જેવી બીમારીઓને હરાવીએ.

આટલું જાણી લો...

• ડેન્ગ્યૂ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા જ ફેલાય છે.

• આ મચ્છરો દિવસે જ કરડે છે.

• લાંબી બાયના કપડાં પહેરીએ.

• મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવીએ.

• ઘરમાં પાણીના વાસણો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ.

• તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફુલદાની વગેરે અઠવાડિયામાં એક વખત સાફ કરીએ.