અમદાવાદ-

રાજ્ય સરકારે 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે જારી કરાયેલી માર્ગદર્શિકામાં જુલુસ મહોલ્લા સુધી મર્યાદિત હોય તો 400 લોકો ભાગ લઇ શકશે. એકથી વધુ વિસ્તારમાં જુલુસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. અગાઉ અન્ય તહેવાર ની સરખામણી માં સરકારે અન્યાય કર્યો હોવાની રજૂઆત કરવા કેટલાક નેતા કમિશનર ને મળવા પહોંચ્યા હતા. જોકે સરકારે તેમાં સુધારો કરતા હવે તેઓએ આ નિર્ણયને સ્વીકારી નિયમોનું પાલન કરવા અને કરાવવા બાંયધરી આપી છે.

બીજી તરફ પોલીસે પણ આ તહેવારને લઈને બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે. 19મીના રોજ શહેરભરમાં 13 ડીસીપી, 24 એસીપી, 70 પીઆઇ, 225 પીએસઆઇ, 6000 પોલીસકર્મી, એસઆરપી ની 2 થી વધુ કંપની, હોમગાર્ડ, પીસીઆર ગાડી, કયુ.આર.ટી વાહનો અને 91 શી ટીમ તૈનાત રાખવામાં આવશે. હાલ આગેવાનો દ્વારા વહેલી સવારથી આ ધાર્મિક તહેવાર ઉજવણી કરી બને એમ ઝડપથી તમામ ગાઈડલાઈન સાથે પૂર્ણ કરવાની અધિકારીઓને ખાતરી આપી છે. તો બીજી તરફ જો કોઈ નિયમોનો ભંગ થશે તો પોલીસ પણ કાર્યવાહી કરતા ખચકાશે નહીં.