આણંદ, તા.૭  

હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી. ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-રઅને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ આંકલાવ, બોરસદ પાલિકા અને ડભોઉ, આસોદર ગ્રામ પંચાયતનાં વિસ્તારો કન્ટેઇન્મેન્ટ જાહેર કરી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તદ્દનુંસાર સોજિત્રા તાલુકાના ડભોઉ ગ્રામપંચાયતની હદમાં આવેલી ધજા શેરીના કુલ-૨૨ મકાન, બોરસદ નગરપાલિકા વિસ્તારમાં આવેલાં છનુભાઇ વકીલનું ફળીયુ બ્રાહ્મણવાડાના કુલ બે મકાન, આંકલાવ તાલુકાના આસોદર ગ્રામ પંચાયતની હદમાં આવેલાં રમેશભાઇ રાયસંગભાઇ પઢિયાર ઠે.મોટા ફળીયા વિસ્તાર અને આંકલાવ નગરપાલિકાની હદમાં આવેલ વિશાલ રજનીકાંત પટેલ, ઠે.વલાસણીયા ખડકી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલું રાખી શકાશે. આ હુકમ તા.૪ ઓગસ્ટથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટએક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ આઈપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.