અમદાવાદ-

પશ્ચિમ રેલવે દ્વારા આગામી સિઝન દરમિયાન યાત્રીઓની માગ અને તેમની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેન પોરબંદરથી દિલ્લી સરાય-રોહિલ્લા વચ્ચે ચલાવાશે. હાલમાં રેલવેએ દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું કે, ટ્રેન સંખ્યા 09263 પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા સ્પેશિયલ 17 ઓક્ટોબર 2020થી શરૂ થશે. આ ટ્રેન પ્રતિ મંગળવાર અને શનિવારે 16:30 વાગ્યે પોરબંદરથી ઊપડશે અને આગલા દિવસે 19:35 વાગ્યે દિલ્લી સરાય-રોહિલ્લા પહોંચશે. પરત ફરતા સમયે ટ્રેન સંખ્યા 09264 દિલ્લી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ સ્પેશિયલ 19 ઓકટોબરથી પ્રતિ સોમવાર અને ગુરુવારે 8:20 વાગ્યે દિલ્લી સરાય-રોહિલ્લાથી ઊપડશે અને આગલા દિવસે 10:35 વાગ્યે પોરબંદર પહોંચશે.

યાત્રા દરમિયાન બંને દિશાઓમાં આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર,કિશનગઢ, ફૂલેરા, જયપુર, બાંદીકુઈ, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાવ અને દિલ્લી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. પરત ફરતી વખતે ટ્રેન સંખ્યા 09264 પાલમ, ગઢિહરસારુ જંક્શન, પટોડી રોડ અને સેન્દ્રા સ્ટેશનો પર પણ રોકાશે. 

આ સ્પેશિયલ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લિપર તથા સેકન્ડ કલાસ સિટીંગના કોચ રહેશે, જે પૂર્ણ રીતે આરક્ષિત રહશે. ટ્રેન સંખ્યા 09263નું રિઝર્વેશન નોમિનેટેડ પીઆરએસ કાઉન્ટર્સ તથા IRCTCની વેબસાઈટ પર તારીખ 15 ઓક્ટોબરથી પ્રારંભ થશે.