અમદાવાદ-

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં, આવતીકાલ તારીખ 17મી એપ્રિલને શનિવારના રોજ, રાજ્ય કક્ષાની કોર કમિટીના સભ્યો જામનગર અને કચ્છ-ભૂજમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે સમિક્ષા બેઠક યોજશે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્નીરી ઉપસ્થિતિમાં સવારે જામનગર અને બપોર બાદ કચ્છના ભૂજ ખાતે કોરોનાને કારણે ઉદભવેલી સ્થિતિની સમિક્ષા કરશે. કોરોનાને કારણે આરોગ્યલક્ષી સેવાઓમાં આવી રહેલી અડચણ, સમસ્યાનો ઉકેલ લાવશે. આ બેઠકમાં જામનગર અને કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાને કારણે ઉદભવેલી કપરી સ્થિતિ, સિવીલ હોસ્પિટલ, રેમડેસિવીર ઈન્જેકશન, ઓક્સિજન, વેન્ટીલેટર, આઈસીયુ, તબીબો, નર્સ, એમ્બ્યુલન્સ વાન, સ્મશાનઘાટ વગેરે મુદ્દે પ્રજાને પડતી હાલાકી અંગે પણ ચર્ચા વિચારણા કરીને યોગ્ય ઉકેલ માટે તંત્રને માર્ગદર્શન સાથે સુચનાઓ આપવામા આવશે.

કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપે વિવિધ શહેરો અને જિલ્લાની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવાનું નક્કી કરાયું છે, જેના ભાગરૂપે અગાઉ સુરત, મોરબી, રાજકોટ અને પાટણ જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરાયા હતા.