ગાંધીનગર

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યુવાઓ-વિદ્યાર્થીઓને આહૃ્‌વાન કરતાં જણાવ્યુ હતુ કે સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે યુવાઓ સંકલ્પબદ્ધ બનીને શિક્ષણના માધ્યમ દ્વારા ભારત દેશ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ બને.આજે ગાંધીનગર ખાતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિધાલયના તૃતીય પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરતાં રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, પ્રાચીન કાળમાં નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા કક્ષાના વિશ્વ વિદ્યાલયો હતા જે ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠને  તોલે આવે તેવા હતા. તત્કાલિન સમયે  શિક્ષણ સાથે સમાજ ઉત્થાન માટે જે પ્રયાસો થયા છે એ આજે પણ ગુજરાતમાં થઇ રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે.કોવિંદે ઉમેર્યુ હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવી ગુજરાતની પવિત્ર ભૂમિ પરથી જ રાષ્ટ્ર નિર્માણનો પાયો નંખાયો હતો. આ ભૂમિએ બે મહાન વડાપ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીના સ્વરૂપે દેશને આપ્યા છે. આ બંનેની સાથે મને કામ કરવાની તક મળી તે બદલ તેમણે પોતાને ગૌરવશાળી માન્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા તેના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં અનેક રાષ્ટ્રીય સ્તરના સંસ્થાનો છે. ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેનાથી લઘુ ભારત અને વિવિધતામાં એક્તાનો ભાવ રજૂ થાય છે.તેમણે ઉમેર્યુ કે, વર્ષ ૨૦૦૯માં આ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઈ હતી. જેમાં ૩૦ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે રાષ્ટ્રિય એક્તાના પ્રતીક સમાન છે. આ વિદ્યાલયે મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરુ પાડ્યુ છે કેમ કે પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં ૫૫ ટકા દિકરીઓએ પદવી મેળવી છે અને ૨૧ પદકો પૈકી ૧૩ પદકો પણ દિકરીઓએ મેળવ્યા છે. તેમણે કહ્યુ કે દિકરીઓ આજે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે સમાજ પરિવર્તનમાં નયા ભારતની પ્રતિકૃતિ દેખાય છે.  કોવિંદે જણાવ્યું હતું કે, શિક્ષણના માધ્યમ દ્વારા જ યુવાઓ આર્ત્મનિભર બની શકે છે ત્યારે સ્વામી વિવેકાનંદના ‘‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’’ના મંત્રને સાર્થક કરીને સ્વરોજગાર બનવાનો ભાવ કેળવીને સમાજના તમામ વર્ગના કલ્યાણ માટે યુવાઓને પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી. ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરીયાલ - નિશંકે દીક્ષા લઇ રહેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે દિક્ષાર્થીઓ માટે આજનો દિવસ પોતાનું ક્ષેત્ર અને લક્ષ્ય પસંદ કરી પોતાની કારકિર્દી નિર્માણ તથા રાષ્ટ્રનિર્માણની દિશામાં નક્કર પગલું આગળ ભરવાનો દિવસ છે.ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ રામા શંકર દુબેએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ વિશ્વવિદ્યાલય શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વ વિકાસની દિશામાં કાર્યરત છે. ‘‘લોકલ ફોર વોકલ અને ‘‘આર્ત્મનિભર ભારત’’ના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતા આ વિશ્વ વિદ્યાલયે ૧૪ જેટલા પેટન્ટ મેળવ્યા છે જેમાંથી બે પેટન્ટ બજારમાં ઉપલબ્ધ પણ છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં પણ આ વિશ્વવિદ્યાલયે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓમાં વધુને વધુ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે આ વિશ્વવિદ્યાલય કાર્ય કરી રહી છે. આ દીક્ષાંત સમારોહમાં ૭૩ પીએચ.ડી., ૨૬ એમ.ફિલ., ૧૨૧ અનુસ્નાતક અને ૨૪ સ્નાતક એમ કુલ ૨૪૪ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ૨૧ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ ચંદ્રક રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્રદાન કરવામાં આવ્યા હતા.આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીક્ષાંત શોભાયાત્રાથી થઈ હતી.

રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ૬ વિદ્યાર્થીઓને ચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા હતા. પદવી પ્રદાન કર્યા બાદ કુલાધિપતિશ્રી ભારતીય પરંપરા અનુસાર પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દીક્ષાંત ઉપદેશ આપ્યો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ડીન, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, વિદ્યાર્થીઓ- વાલીઓ તેમજ આમંત્રિત શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.