અરવલ્લી,તા.૨૩ 

અરવલ્લી જિલ્લાના ગ્રામિણ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોને ઘર આંગણે નળ કનેકશનથી પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીની ૯૯૦ યોજનાઓ થકી ઘરે-ઘરે પાણી પંહોચાડવાનું આયોજન હાથ ધરાયું છે. અરવલ્લી જિલ્લાના વાસ્મો દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની યોજનાઓ અમલમાં મુકાઇ છે. જેમાં અત્યાર સુધી સંપ, બોરવેલ તેમજ હેન્ડપંપ સહિતના પાણીના સ્ત્રોત મારફતે પાણી ઉપલબ્ધ કરાવાતું હતું. હવે રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર-આંગણે જ નળ કનેક્શનથી પાણી મળે તે માટે નલ સે જલ યોજના હેઠળ આવરી લેવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી જિલ્લાના ૧,૯૦,૫૧૬ પરીવારોને ઘર પોતાના આંગણે પાણી મળી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા ૯૯૦ યોજનાઓ અમલમાં મુકી છે. જેમાં બાયડ તાલુકાના ૩૭૫૭૨, ભિલોડાના ૪૧૪૪૮ ધનસુરાના ૨૫૭૬૭ માલપુરના ૧૪૯૯૬ મેઘરજના ૨૭૧૬૫ અને મોડાસાના ૪૩૫૬૮ પરીવારોના ઘર આંગણે નળ કનેક્શન મળતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી હતી.